કચ્છ,
કચ્છમાં પોલીસ સામે જ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર ફેલાઈ છે. આદિપુરના બે કોન્સ્ટેબલે કિશોર સહિત બે વ્યક્તિને માર મારતા પોલિસ ફરિયાદ નોંધાઇ છે.
મળતી વિગતો મુજબ, દારૂ હોવાની બાતમીના આધારે આદિપુર પોલીસ મથકમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતાં બે કોન્સ્ટેબલે 16 વર્ષના કિશોર સહિત બે લોકોને પોલીસ મથકે ડી-સ્ટાફ રૂમમાં બોલાવીને લાકડીઓ વડે ઝુડી નાખ્યાં હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકમાં નોંધાતા જિલ્લાના પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.
આદિપુરના અંતરજાળમાં રહેતો 16 વર્ષનો કિશોર તેના મિત્ર રવિરાજસિંહ જાડેજા સાથે હતો ત્યારે અગાઉના એક ગુના અંગે ડી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ હિરાભાઈ માનાભાઈ દેસાઈએ તેને પોલીસ મથકે બોલાવ્યો હતો.
જ્યાં હિરાભાઈ દેસાઈ અને પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ મહિપતસિંહ જાડેજાએ કિશોર અને રવિરાજસિંહની દારૂની બાતમી બાબતે પૂછપરછ શરૂ કરીને પગ, પીઠ અને બેસવાની જગ્યાએ ડંડાથી માર માર્યો હતો.
બાદમાં પોલીસે કિશોરને સાથે રાખી પાતાળીયા હનુમાન મંદિર નજીક આવેલા જશાભાઈના વાડામાં તપાસ કરી હતી. તો, રવિરાજસિંહના ઘરે પણ તપાસ કરી હતી. જો કે, કંઈ ના મળતાં બંનેને છોડી મુકા્યાં હતા.બંનેને ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
આદિપુર પીએસઆઈ વી.આર.ડાંગરે કોન્સ્ટેબલ હિરાભાઈ દેસાઈ અને બલભદ્રસિંહ જાડેજા વિરુધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.આદિપુરના બે પોલીસ કોન્સ્ટેબલ વિરુધ્ધ ફરિયાદ નોંધાતાં સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.