સુરત,
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 19 જેટલાં બાળકોના સહિત 23ના મોત પછી ખાલી સુરત જ નહીં પરંતું રાજ્ય આખુ સ્તબ્ધ થઇ ગયું છે.આ આગમાં મૃત્યુ પામેલા બાળકોને શહેરના અશ્વિની કુમાર સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યા ત્યારે એવો માહોલ સર્જાયો હતો કે ભલભલા પથ્થર દિલની આંખ પણ ભરાઇ આવે.
સુરતમાંથી શનિવારે સવારે જ્યારે 19 બાળકોની અંતિમયાત્રા નીકળી ત્યારે શહેર આખુ હીબકે ચડ્યું હતું.તક્ષશીલા બિલ્ડીંગની પાછળ જ આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી ક્રિશ્ના ભિકડીયા હવે આ દુનિયામાં નથી રહી.આગમાં હોમાઇ ગયેલી ક્રિશ્નાએ મોતને ભેટતા ત્રણ મિનિટ પહેલાં જ તેના પિતા સુરેશભાઇને ફોન કર્યો હતો,જેમાં કહ્યું હતું કે…
પપ્પા અમારે ત્યાં તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગી છે અને પપ્પા સૌથી પહેલા અમારો દાદરો જ બળીને ખાખ થઈ ગયો છે, કારણ કે અમાર દાદર લાકડાનો હતો…પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા…
આગમાં હોમાયેલી ત્રણ વિદ્યાર્થીનીઓ આશાદીપ શાળાની હતી. ધોરણ 12 કોમર્સના આજે જાહેર થયેલા પરિણામમાં 3 વિદ્યાર્થીનીઓ યશ્વી, હસ્તી અને માનસીનું પરિણામ પણ જાહેર થયું હતું,જેમાં તેઓ 60 ટકા કરતાં વધુ આવતા સમગ્ર શાળામાં ગમગીની છવાઈ ગઈ છે.
મૃતકોમાં વિદ્યાર્થીઓ ઋતુ સંજયભાઈ સાકરિયા, યશ્વી દિનેશભાઈ કેવડીયા, હસ્તી હિનેશભાઈ સુરાણી, યેશા રમેશભાઈ ખડેલા, દ્રષ્ટિ વિનુભાઈ ખૂંટ, જાહનવી ચતુર વસોયા, કૃતિ નીલેશભાઈ દયાળ, માનસી પ્રવિણભાઈ વરસાણી, ગ્રિષ્મા જયેશભાઈ ગજેરા, ઇશા ક્રાંતિભાઈ કાકડિયા, જાહનવી મહેશભાઈ વેકરિયા, વંશવી જયેશભાઈ કાનાણી, ક્રિષ્ણા સુરેશભાઈ ભીડકિયા, ખુશાલી કિરીટભાઈ કોટડિયા, રુમિ રમેશભાઈ બલર, નિસર્ગ પરેશભાઈ કાતરોડિયા, મિત દિલીપભાઈ સંઘાણી, અંશ મનસુખભા ઠુમર, રુદ્ર ઇશ્વરભાઈ ડોંડાનો સમાવેશ થયાનું જાણવા મળે છે.