દિલ્હી,
#MeToo મહિલાઓની જાતીય સતામણીના વિવાદમાં ફસાયેલાં વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે પોતાના મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું છે.બુધવારે અકબરે રાજીનામુ આપતાં જણાવ્યું હતું કે મારી સામે જે ખોટા આરોપ લાગ્યા છે તેની સામે મેં કોર્ટમાં ન્યાય મેળવવાનું નક્કી કર્યું છે.હું મારા મંત્રીપદ પરથી રાજીનામુ આપી રહ્યો છું.
મિંટ લાઉંજની ભૂતપૂર્વ એડિટર પ્રિયા રામાણીએ સૌ પ્રથમ એમજે અકબર વિરૂદ્ધ જાતીય સતામણીના આરોપો લગાવ્યા હતા. એ પછી લગભગ એક ડઝન જેટલી મહિલા પત્રકારોએ એમજે અકબર પર જાતીય સતામણીના આરોપો મુક્યા હતા. રવિવારે અકબરે પોતાના વિસ્તૃત નિવેદનમાં કહ્યું હતું કે તેઓ પોતાની સામે લાગેલા જાતીય સતામણીના ખોટા આરોપો લગાવનાર સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરશે.
અકબરે તેમની વિરૂધ્ધ આરોપ મુકનાર પત્રકાર પ્રિયા રામાણી સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. એમજે અકબરે સોમવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં તેમની પર જાતીય સતામણીના આરોપો લગાવનારી મહિલા પત્રકાર પર બદનક્ષીનો દાવો કર્યો હતો.
અકબર પર 20 જેટલી યુવતીઓએ જાતીય સતામણીનો આરોપ મુક્યા પછી મોદી સરકાર પર આંગળીઓ ચીંધાતી હતી અને દેશભરમાંથી તેમના રાજીનામાની માંગણી ઉઠી રહી હતી.
જો કે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે પહેલા આરોપોની સચ્ચાઇની તપાસ થશે એ પછી નિર્ણય લેવાશે.