મહેસાણા,
ગુજરાતની મહેસાણાની દૂધસાગર ડેરીમાં વહીવટદાર નિમવાના રાજ્ય સરકારના નિર્ણયને ચાલુ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો હતો.
આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં સુપ્રિમ કોર્ટમાં વહીવટદાર નિમવાના મામલે કલમ 93 અને ગેરરિતી મામલે થયેલી અરજીની તપાસ કલમ 83 એક સાથે ચાલવવાની દૂધસાગર ડેરીની અપીલ કોર્ટે માન્ય રાખી ઓગષ્ટ સુધી સ્ટે આપ્યો છે.
મહેસાણાની દૂધસાગર ડેરીમાં રાજ્ય સરકાર દ્વારા ડેરીની ચૂંટાયેલી પાંખને દૂર કરી તેને બદલે વહીવટદારની નિમણુંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના આ નિર્ણયની સામે વિપુલ ચૌધરી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરવામાં આવી હતી.
જો કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા દૂધસાગર ડેરીમાં વહીવટદારની નિમણૂંક કરવાના રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં આવ્યો હતો અને વિપુલ ચૌધરીની પિટીશનને ફગાવી દેવામાં આવી હતી.
જેના કારણે વિપુલ ચૌધરી દ્વારા હાઇકોર્ટના આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગુજરાતના રાજ્ય રજિસ્ટ્રારની કારણદર્શક નોટિસ ઉપર ઓગષ્ટ 2018 સુધીનો સ્ટે આપવામાં આવ્યો છે.