નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે રશિયાના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. તાજેતરમાં જ અમેરિકા દ્વારા ઈરાન પરમાણુ કરારમાંથી હટી જવાથી ઉભી થયેલી સ્થિતિ તેમજ વૈશ્વિક અને સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે.
આ ઉપરાંત પીએમ મોદી રશિયાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અનૌપચારિક શિખર બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલય દ્વારા નિર્ધારીત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન મોદી આગામી ૨૧ મે ના રોજ વહેલી સવારે રશિયાના સોશી શહેર પહોંચશે.
મોદીની આ રશિયા મુલાકાત દરમિયાન બંને દેશના નેતાઓ વચ્ચે વાર્ષિક બેઠકના છેલ્લા ૧૮ વર્ષથી ચાલી આવતી પરંપરાનો એક ભાગ હશે. મહત્વનું છે કે, આ બેઠક એક વર્ષે રશિયામાં થાય છે જયારે ત્યાર પછીના વર્ષે ભારતમાં યોજાય છે.
પરંપરાગત રીતે ઔપચારિક બેઠકથી પીએમ મોદીએ તાજેતરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ સાથે બેઠક યોજી હતી. આ પ્રકારની બેઠકનો સામાન્ય રીતે કોઈ એજન્ડા હોતો નથી. તેમજ બેઠક બાદ કોઈ સંયુક્ત ઘોષણાપત્ર પણ જાહેર કરવામાં આવતુ નથી. વાચતીતનો વિષય બન્ને દેશના નેતાઓ પોતાના હિસાબે પસંદ કરી લેતા હોય છે.
સત્તાવાર સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ, મોદી અને પુતીન વચ્ચેની આ બેઠક ચાર થી છ કલાક સુધી ચાલી શકે છે. આ બેઠકમાં સ્થાનિક મુદ્દાઓ પર ખુબ ઓછી ચર્ચા થવાની શક્યતા છે. આ બેઠકમાં ઈરાન પરમાણુ કરારમાંથી અમેરિકાનુ હટી જવુ, અફઘાનિસ્તાન અને સિરીયાની સ્થિતિ, આતંકવાદનો ખતરો અને શંઘાઈ સહયોગ સંગઠન તેમજ બ્રિક્સ શિખર બેઠક અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.
આ ઉપરાંત અમેરિકાના નવા કાયદા સીએએટીએસએ અંતર્ગત રશિયા સામે મુકવામાં આવેલા પ્રતિબંધોની સાથે સાથે ભારત અને રશિયા વચ્ચેના સંભવથી રક્ષા સહયોગ પર પણ ચર્ચા કરવામાં આવશે.