અમદાવાદ
રાજ્યમાં ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતો વધી રહી છે.ભાજપની ગૌરવ યાત્રાનું સમાપન રવિવારે થઇ રહ્યું છે અને સમાપન થયા પછી સોમવારે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવશે. 16 ઓક્ટોબરે રાજ્યભરના ૫૦ હજારથી વધુ બુથના પેઇજ પ્રમુખોનું મહાસંમેલન ગાંધીનગર નજીક ભાટ ટોલનાકા પાસેના ખુલ્લા મેદાનમાં યોજાનાર છે. લાખો કાર્યકરોના આ મહાસંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે.સુત્રો જણાવે છે કે વડાપ્રધાન સોમવારે બપોરે આ સંમેલન માટે અમદાવાદ આવશે અને ત્યાંથી સીધા જ સંમેલન સ્થળે પહોંચશે.
જો કે પીએમનો આખરી કાર્યક્રમ હજુ નક્કી થયો નથી.
આ સંમેલનને ભાજપના પ્રમુખ અમિત શાહ પણ સંબોધશે. છ મહિના પહેલાં ભાજપના બુથ પ્રમુખોનું સંમેલન અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયું હતું, જેને ભાજપ અધ્યક્ષ અમિતભાઇએ ઉપસ્થિત રહીને સંબોધ્યું હતું. આ પછી પ્રથમ વખત બુથની મતદાર યાદીના પ્રત્યેક પેઇજના પ્રમુખોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે
પીએમની ગુજરાત મુલાકાત સાથે સાથે ભાજપની હાલ ચાલી રહેલી ગૌરવ યાત્રામાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ જોડાશે.ગૌરવ યાત્રામાં તા.૧૩ અને ૧૪ દરમિયાન ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સામેલ થશે. રવિવારે બન્ને યાત્રાઓ ગાંધીનગર પરત ફરશે.