નવી દિલ્હી,
સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી બંગલો ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, જયારે કોઈ વ્યક્તિ એક વાર મુખ્યમંત્રી પદ છોડી દે છે તે પછી સામાન્ય માણસની સમકક્ષ હોય છે.
બીજી બાજુ, દેશની સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય ઉત્તર પ્રદેશની સરકાર માટે મોટા આંચકા સમાન માનવામાં આવી રહ્યો છે.
લોકપ્રહરી સંસ્થા દ્વારા કરવામાં આવેલી અરજી અંગે સોમવારે સર્વોચ્ચ અદાલતમાં હાથ ધરાયેલી સુનાવણીમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા યુપી મિનિસ્ટર સેલેરી એકાઉન્ટ એન્ડ મિસલેનિયસ પ્રોવિઝન એક્ટની તે જોગવાઈને પણ રદ્દ કરી દેવામાં આવી છે કે, જેમાં પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી બંગલામાં રહેવાનો અધિકાર આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે આપવામાં આવેલા આ આદેશ પછી ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓએ પોતાનો બંગલો ખાલી કરવો પડશે. પૂર્વ મુખ્યમંત્રી હોવા છતાં સરકારી બંગલામાં રહે છે એવા લોકોમાં સમાજવાદી પાર્ટીના પૂર્વ સુપ્રીમો મુલાયમસિંહ યાદવ, બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી)ના પ્રમુખ માયાવતી, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ, નારાયણ દત્ત તિવારી (એન.ડી. તિવારી) સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં વધુમાં જણાવ્યું હતું કે, “એક વાર મુખ્યમંત્રી પોતાનું પદ છોડી દે છે ત્યારે તે સામાન્ય વ્યક્તિની સમકક્ષ બની જાય છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કાયદામાં સંશોધન કરીને જે નવી વ્યવસ્થા આપવામાં આવી હતી તે બિલકુલ અસંવૈધાનિક છે”.
સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ ઉત્તર પ્રદેશનું મુખ્યમંત્રીપદ છોડી દીધા પછી પણ લાંબા સમયથી સરકારી બંગલા ઉપર કબજો જમાવી રાખનારા નેતાઓને જબરદસ્ત ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ પછી હવે મુલાયમસિંહ યાદવ, માયાવતી, કલ્યાણસિંહ, નારાયણ દત્ત તિવારી, રાજનાથસિંહ સહિતના નેતાઓએ સરકારી બંગલો ખાલી કરવા પડશે.