દિલ્હી: લગ્ન તથા અન્ય સમારોહમાં હરખમાં ‘ભડાકા’ (ફાયરિંગ) કર્યા બાદ કોઈ દૂર્ઘટના થાય તો તેના માટે હવે તે કાર્યક્રમનો આયોજક જવાબદાર ગણાશે. દિલ્હી હાઈકોર્ટે આ અંગેનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, સમારોહનું આયોજન કરનારા વ્યક્તિએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેના અતિથિ જશ્ન, સમારોહ કે કાર્યક્રમ દરમિયાન ગોળી ચલાવે નહી.
આ મામલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ વિભૂ બાખરુએ જણાવ્યું હતું કે, જો કોઈ પણ પ્રકારના સમારોહ દરમિયાન કોઈ ગોળી ચલાવે છે, તો આયોજકની જવાબદારી રહેશે કે તેઓ તુરંત પોલીસને આ અંગેની જાણ કરે. જો આવા મામલામાં સરકાર કોઈ દિશા-નિર્દેશ ન આપે ત્યારે આવી જોગવાઈ લાગુ કરવા માટે અદાલતને આદેશો આપવા પડે છે. દિલ્હી હાઈકોર્ટે અરજદાર શ્યામ સુંદર કૌશલ તરફથી દાખલ કરાયેલી અરજી પર આ આદેશ આપ્યો હતો.
ગત એપ્રિલ-2016માં ઉત્તરી દિલ્હી નિવાસી શ્યામ સુંદર કૌશલની 17 વર્ષની પુત્રી અંજલી ગલીમાંથી પસાર થઈ રહેલા વરઘોડાને જોવા માટે પોતાના ઘરની બાલ્કનીમાં ઉભી હતી. આ સમયે જાનમાં આવેલા જાનૈયામાંથી કોઈએ બન્ધુકમાંથી હવામાં ‘ભડાકા’ (ફાયરિંગ) કર્યા હતા. આ ગોળી છૂટીને બાલ્કનીમાં ઉભેલી અંજલીના માથામાં ગોળી વાગી હતી અને તેના કારણે અંજલીનું મોત નિપજ્યું હતું.
પોતાની વહાલસોયી પુત્રીના મોત બાદ શ્યામ સુંદર દ્વારા આ મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી દ્વારા તેમણે વરરાજા, તેના પિતા, સરકાર તથા પોલીસ પાસેથી 50 લાખ રૂપિયાના વળતરની માંગણી કરવામાં આવી હતી. અરજદારે કહ્યું હતું કે, તેની પુત્રીના મોત બદલ વરરાજા પક્ષની બેદરકારી જવાબદાર છે.
દિલ્હી હાઈકોર્ટે આ અંગે ચુકાદો આપતા ઉમેર્યું હતું કે, જશ્ન દરમિયાન ગોળી ચલાવવાની પ્રવૃત્તિ ઉપર લગામ લગાવવા માટે સમારોહના આયોજકની જવાબદારી નક્કી કરવાની તાતી જરૂરિયાત છે. હાઈકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, તમે કોઈ કાર્યક્રમનું આયોજન કરો અને તે દરમિયાન ત્યાં કોઈના દ્વારા ગોળી ચલાવવામાં આવે તો તે માટે તમે જ જવાબદાર કહેવાશો. આયોજક એવું કહીને છટકી કેબચી ન શકે કે અમે અતિથિને ગન લાવવા માટે કહ્યું નહોતું !