રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જેલમાં જ દીવાળી ઉજવવી પડશે. અલ્પેશના જામીન મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી. જેને કારણે અલ્પેશ કથીરિયાને જેલમાં જ દીવાળી ઉજવવી પડશે.
ગુજરાત સરકાર દ્વારા અલ્પેશની જામીન અરજીનો વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી કે, અલ્પેશ અને તેના સાથીદારોએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું હતું. રાજ્યમાં અશાંતિ અને તણાવનું વાતાવરણ ઉભુ કર્યું હતું. તેને જામીન ના આપો.
ગુજરાત હાઈકોર્ટમાં અલ્પેશ કથીરિયાના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારે કિન્નાખોરી રાખી કેસ કર્યા છે. અલ્પેશે પોતાના સમાજ માટે અનામતની માગ કરી હતી, રાજદ્રોહ નથી કર્યો. સરકારે અનામત આંદોલન વખતના 45માંથી 39 કેસ પાછા ખેંચ્યા હોવાનું પણ વકીલે જણાવ્યું હતું.
હવે બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ 19મીએ શું ચૂકાદો આપે છે, તેના પર સૌની નજર રહેશે.