અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ રવિવારે કોળી સંમેલનમાં નિવેદન કર્યું હતું કે, સત્તા હશે તો વિકાસ થશે. બાવળિયાના આ નિવેદન અંગે આજે BJP પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જો બાવળિયાને ભાજપમાં જોડાવવું હોય તો બીજેપીનું મન મોકળું છે.
ગુજરાત BJP ની ચિંતન બેઠક આજે સાંજે પૂર્ણ થઈ રહી છે ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પક્ષની ચિંતન શિબિર અંગેની માહિતી આપી હતી એટલું જ નહિ, કોળી સમાજના અગ્રણી અને કોંગ્રેસના પીઢ ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ કરેલી ભાજપમાં જોડાવવા અંગેની વાતનો ખુલાસો પણ કર્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાના ભાજપમાં જોડાવવા અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં જીતુ વાઘાણીએ ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાની શક્તિમાં ઉમેરો કરવા માંગતી હોય છે. જો કે આવી વ્યક્તિની સાથે ભારતીય જનતા પાર્ટીની કોઈ ચર્ચા થઈ નથી. પરંતુ કોઈ પણ વ્યક્તિને આવવું હોય તો ભારતીય જનતા પાર્ટીનું મન ખુલ્લું (મોકળું) છે.
વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તા માટે જ્ઞાતિના ઝેરની રાજનીતિ દ્વારા અરાજકતા ફેલાવે છે. જો કે, સામાજિક સમરસતા ભાજપની પરંપરા રહી છે. કેટલાક લોકો કોંગ્રેસની સાથે બેસે છે, ભેગા રહીને છેતરવા નીકળે છે. પરંતુ ભાજપ સામાજિક સમરસતાનો માહોલ ન બગડે તેવા કામો કરશે. ચિંતન શિબિરમાં આગામી દિવસોમાં આવા કાર્યક્રમો યોજવા અંગે ચર્ચા થઈ છે.
વીએચપી અને પ્રવીણ તોગડિયા અંગેના સવાલના જવાબમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ ભાજપની સાથે રહેલી જ એક સંસ્થા છે. કોઈ એક વ્યક્તિ વિશેષના જવાથી કોઈ સંસ્થાને ફેર પડતો નથી. કોઈ એક વ્યક્તિના નીકળી જવાથી સંસ્થા દૂર થઈ જતી નથી. ભાજપ અને તેની સાથેની સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહી છે.
આ અગાઉ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, તા. ૨૫ જૂને સ્વ. ઇન્દિરા ગાંધીએ લોકશાહીનું ખૂન કર્યું હતું. આ દિવસને ભાજપ દ્વારા કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ઉપરાંત ચિંતન શિબિર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આધ્યામિક વાતાવરણમાં શિબિર યોજાઈ છે. આગામી વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના ભાગરૂપે શિબિર યોજાઈ હતી. જેમાં ૨૦૧૯ની લોક્સભની ચૂંટણીમાં જનતાના આશીર્વાદ નરેન્દ્ર મોદીને મળ્યા છે, જેને અનુલક્ષીને ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવા માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.