જસદણ,
રાજકોટના જસદણમાં આગામી દિવસોમાં વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે ત્યારે પાક નિષ્ફળ જતાં ખેડૂતે કરેલા આપઘાતનો બનાવ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.રાજયમાં દેવા તળે દબાયેલા ખેડૂતોને પાક નિષ્ફળ જતાં આપઘાત કરવાના બનાવો વધી રહયા છે.જસદણના ગીતાનગરમાં રહેતા ખેડૂતે પાક બચાવવા માટે ખેતરમાં કૂવો કર્યો હતો.પરંતુ કૂવામાં પાણી ન આવતાં તેઓ નાસીપાસ થઇ જઇ આ પગલું ભર્યું હતું.
બીજીબાજુ દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે એક ખેડૂતે આપઘાત કરી લીધો હતો જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.આપઘાત કરનાર ખેડૂતનું નામ વિરમ હાથીયા ખુંટી હતું.
ખેડૂતે શનિવારે ગેસના ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર માટે પોરબંદર હોસ્પિટલ ખસેડાયા હતા. બાદમાં તબિયાત ખરાબ થતાં વધારે સારવાર માટે જૂનાગઢ લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન રવિવારે ખેડૂતનું મોત નિપજ્યું હતુ. 33 વર્ષીય વિરમ હાથીયા ખુંટીને છેલ્લા કેટલાક દિવસથી આર્થિક સંકડામણ હોવાથી અંતે કંટાળીને આ પગલુ ભર્યુ હોવાની પરિવાર દ્વારા માહિતી મળી છે. પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે કે તેમના માથે દેવું વધી જતા આપઘાત કરી લીધો છે.
બુધવારના દિવસે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ખેડૂત યુવકે ઝેર ગટગટાવી આયખુ ટૂંકાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂત યુવકે આપઘાત પહેલા એક સુસાઇટ નોટ લખી હતી, જેમાં તેણે પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. સુસાઇટ નોટમાં ખેડૂત યુવકે લખ્યું કે તે પાક નિષ્ફળ જતાં આર્થિક ભીંસમાં આવી ગયો હતો, જેના કારણે તે વ્યાજે લીધેલા નાણાં ચૂકવી શક્યો નથી, નાણાં ન ચૂકવતા વ્યાજખોરો સતત તેને ધમકાવી રહ્યાં હતા. આથી તેણે આ પગલું ભર્યું છે.