મુંબઈમાં મરાઠા અને ગુજરાતમાં પાટીદારો બાદ હવે રાજપૂત અને બ્રાહ્મણ સમુદાયના લોકોએ પણ આરક્ષણની માંગ કરી છે. આ માટે સમાજના આગેવાનોએ ઓબીસી આયોગને પત્ર પણ લખ્યો છે. જણાવી દઈએ કે, ગુરુવારે મહારાષ્ટ્રમાં મરાઠાઓને શિક્ષણ અને નોકરીમાં 16 ટકા આરક્ષણ આપવાનો પ્રસ્તાવ પાસ થઇ ગયો છે.
ગુજરાતમાં રાજપૂત સમાજના નેતાઓએ કહ્યું કે, તેઓ કુલ જનસંખ્યાના લગભગ 8 ટકા જ છે. અને મહારાષ્ટ્રમાં મરાઠાઓની જેમ રાજ્યમાં 8 ટકા અનામતની માંગ કરે છે.
વળી, ગુજરાત સમસ્ત બહ્મ સમાજે ઓબીસી આયોગને પત્ર લખીને એમને ઓબીસીમાં સમાવવા માટે સર્વે કરવાની માંગ કરી છે. ગુજરાત બ્રહ્મ સમાજના આગેવાન યજ્ઞેશ દવેએ કહ્યું કે, ગુજરાતમાં બ્રાહ્મણોની સંખ્યા 60 લાખ છે, જે કુલ જનસંખ્યાના 9.5 ટકા છે. એમણે આગળ જણાવ્યું કે, 42 લાખ બ્રાહ્મણો આર્થિક રીતે ખુબ નબળા છે.
રાજપૂત ગરાસિયા સમાજ સંગઠને ઓબીસી આયોગના સુજ્ઞાબેન ભટ્ટ સાથે મુલાકાત કરીને એક લિખિત અપીલ કરી છે. ગાંધીનગર જિલ્લાના રાજપૂત સમાજના નેતા રાજન ચાવડાએ કહ્યું કે, ગરાસદારને ઓબીસીમાં સામેલ કરવા જોઈએ અને ઓબીસી કેટેગરીમાં વધારાનો કોટા આપવો જોઈએ.