Gujarat News : આ કેસની વિગત મુજબ અરજદારએ ભરૂચ જીલ્લાના હલદરવા ગામની સીમમાં લવારા મસ્જીદની જમીન વહીવટકર્તાઓ પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ હતી અને ત્યારબાદ જમીન બિન ખેતી (એન.એ.) કરાવી તેમાં બાંધકામ કરેલ હતું. પરંતુ ગુજરાત રાજય વકફ બોર્ડના તત્કાલીન સી.ઈ.ઓ. એમ.એચ. ખુમાર તથા તેમના મળતીયાઓ અરજદાર દ્વારા ઉપરોકત જમીન ખોટી રીતે ખરીદ કરેલ હોવાનું જણાવી અરજદાર વિરુધ્ધ એફ.આઈ.આર. દાખલ કરાવવાની બીક બતાવી ધાક-ધમકી આપતાં હત. ઉપરાંત FIR દાખલ ના થવા દેવી હોય તો તેના બદલામાં મોટી રકમની લાંચની માંગણી કરતાં હતા. આ સબંધે અરજદારે ગુજરાત રાજય વકફ બોર્ડના તત્કાલીન સી.ઈ.ઓ. એમ.એચ.ખુમારના મળતીયાઓ સાથે મોબાઈલ ફોનમાં થયેલ વાતચીતનું રેકોર્ડીંગ કરી લિધેલ હતુ અને તે રેકોર્ડીંગની પેન ડ્રાઈવ સાથે એ.સી.બી.માં અરજી કરી હતી.
ઉપરોકત બાબતે એ.સી.બી. દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમ્યાન (૧) વિજય ઝીણાભાઇ ચૌહાણ નાયબ કલેકટર રાજપીપલા (હાલ ફરજ મોકુફ) (૨) ચેલારામ જેઠાલાલ પંચાલ (પ્રજાજન) (૩) અર્જુન શીવલાલભાઈ જોશી (પ્રજાજન) (૪) પ્રકાશભાઈ મનસુખભાઈ નાકીયા (પ્રજાજન) નાઓએ એકબીજાના મેળાપીપણમાં અરજદાર વિરુધ્ધ ગુજરાત રાજય વકફ બોર્ડ દ્વારા એફ.આઈ.આર. દાખલ નહીં કરાવવા પેટે વકફ બોર્ડનાં તત્કાલીન સી.ઈ.ઓ. એમ.એચ.ખુમાર વતી સૌ પ્રથમ રૂપિયા ચાર કરોડની લાંચની માંગણી કરેલ અને ત્યારબાદ રકઝકનાં અંતે રૂપિયા એક કરોડની માંગણી કરી તે પૈકી રૂપિયા અગીયાર લાખ તત્કાલીક આપવાના અને બાકીના રૂપિયા નેવ્યાસી લાખ કામ પુરૂ થયા પછી આપવાનું નક્કી કરેલ હોવાનું પ્રાથમીક દ્રષ્ટીએ જ જણાઈ આવેલ છે.
તેમજ અન્ય આક્ષેપિત મહંમદ હુશેન @ ચીનાભાઈ ગનીભાઈ ગાયકવાડ (પ્રજાજન) રહે.નડીયાદ વાળાનાઓએ પણ અરજદાર વિરુધ્ધ વકફ બોર્ડ દ્વારા એફ.આઈ.આર. દાખલ ના થાય તે સારૂ ગુજરાત રાજય વકફ બોર્ડનાં તત્કાલીન સી.ઈ.ઓ. એમ.એચ.ખુમાર સાહેબ સાથે મીટીંગ કરાવી આપવાનાં બદલામાં દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલ હોવાનું પ્રાથમીક દ્રષ્ટીએ જ જણાઈ આવતું હોઈ, ઉપરોકત ઈસમો તથા તપાસમાં નિકળે તે તમામ વિરુધ્ધ ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ-૧૯૮૮ (સુધારા અધિનિયમ-૨૦૧૮) ની કલમ-૭, ૭(એ) તથા ૧૨ મુજબનો ગુનો ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટે. ખાતે દાખલ કરવામાં આવેલ છે.
આક્ષેપિત (૧) વિજય ઝીણાભાઇ ચૌહાણ ડેપ્યુટી કલેકટર (હાલ:ફરજ મોકુફ) (૨) ચેલારામ જેઠાલાલ પંચાલ (પ્રજાજન) (૩) અર્જુન શીવલાલભાઈ જોશી (પ્રજાજન) (૪) પ્રકાશભાઈ મનસુખભાઈ નાકીયા (પ્રજાજન) તેમજ (૫) મહંમદ હુશેન @ ચીનાભાઈ ગનીભાઈ ગાયકવાડ (પ્રજાજન) રહે.નડીયાદ નાઓ વિરુધ્ધ પુરાવા આધારે ગુનો દાખલ કરવામાંઆવ્યો હતો.
