રાજકોટ,
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામે બાળકી પર કરાયેલા બળાત્કાર મામલાને લઈ રાજ્યભરમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક પરપ્રાંતય યુવક દ્વારા કરાયેલા આ બળાત્કારની ઘટના બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઉત્તરપ્રદેશ અને બિહારમાંથી આવેલા વસેલા લોકો પર હુમલા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મામલાને લઈ મુખ્યમંત્રી વિજય રુપાણીનું એક નિવેદન સામે આવ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “પરપ્રાંતીયો પર હુમલા કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું, “પરપ્રાંતીયોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે અને તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે”.
રાજ્યની પરંપરા અંગે જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું, “ગુજરાતની પરંપરા રહી છે કે અન્ય પ્રાંતમાંથી આવતા લોકો, સમાજને તેણે પોતાના ગણી સ્વીકાર્યા છે. અહીં તમામ રાજ્યના લોકો શાંતિપૂર્વક માહોલમાં રહે છે. ગુજરાત અને ગુજરાતીઓની આ વિશેષતા છે કે, તેમણે અન્ય રાજ્યના લોકોને પોતીકા ગણ્યા છે”.
રાજકોટ ખાતે હાજર રહેલા CM રુપાણીએ રાજ્યના સૌ ભાઇઓ તથા બહેનોને શાંતિ જાળવવા તેમજ ભાઇચારાની ભાવના બનાવી રાખવા માટે અપીલ કરી છે.