સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં એક ઘૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે. એક પિતાએ તેની સગી દિકરી પર બળાત્કાર કર્યો હતો. માતાના અવસાન બાદ આ સમગ્ર ઘટના સામે આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે નરાધમ પિતા છેલ્લા કેટલાય વર્ષોથી કિશોરીને પીંખી રહ્યો હતો.
આ સમગ્ર ઘટના કિશોરીએ પોતાના માતાની મોત બાદ તેની નાની અને મામાને જણાવી હતી. આ પછી આ સમગ્ર મામલો અમરોલી પોલીસ મથકમાં પહોચ્યો હતો. અમરોલી પોલીસ દ્વારા નરાધમ પિતાની ઘરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાનું ત્રણ દિવસ પહેલા અવસાન થવાને કારણે તે પોતાની નાની અને મામા સાથે રહેવા માટે ગઇ હતી.
જ્યાં ગયા બાદ કિશોરીએ ત્યાંથી પોતાના પિતાની સાથે પરત રહેવા જવા માટેની ના પાડી દીધી હતી. જેના કારણે મામાએ તેણીને શાંતિથી તેનું કારણ પૂછ્યું હતું, ત્યારે કિશોરીએ પોતાની સમગ્ર આપવીતી જણાવી હતી. જેમાં તેણીના પિતાના કાળા કરતૂતોનો ભાંડો ફૂટ્યો હતો.
કિશોરીએ તેના મામાને કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી તેના પિતા તેની સાથે શારીરિક છેડછાડ કરતા હતા અને બાદમાં તો તેણે તેની સાથે દુષ્કર્મ કરવાની પણ શરૂઆત કરી દીધી હતી. ભાણીની આ દર્દનાક વિગતો સાંભળીને તેના મામા અને નાની અવાક થઈ ગયા હતા.
આ પછી કિશોરીના મામા અને નાનીએ કિશોરીને લઇને અમરોલી પોલીસ મથક ખાતે પહોચ્યા હતા. જ્યાં કિશોરીએ પોતાના પિતાની સામે જ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી. આ સમગ્ર મામલામાં પોલીસે કિશોરીનું તબીબી પરીક્ષણ કરાવ્યું છે અને આ ફરિયાદના આધારે પોલીસે કિશોરીના નરાધમ પિતાની ઘરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.