ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર સમાપન તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે મંગળવારે વિરોધ પક્ષ કોંગ્રેસ અને શાસક પક્ષ ભાજપ વચ્ચે સુખદ સમાધાન થયુ છે. શાસક પક્ષે કોંગ્રેસના બે ધારાસભ્યોનું 3 વર્ષ માટેનું અને એક ધારાસભ્યનું એક વર્ષ માટેનું સસ્પેન્શન રદ્દ કરીને આ ચાલુ બજેટ સત્રની સમાપ્તિ સુધી મર્યાદિત કર્યુ છે.
તો બીજી તરફ કોંગ્રેસે પણ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામેની અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચી લીધી છે. એટલુ જ નહિં કોંગ્રેસે તેના 3 ધારાસભ્યોના સસ્પેન્શન મામલે ગઈ કાલે હાઈકોર્ટમાં કરેલી અરજી પણ મંગળવારે પરત ખેંચી લીધી છે. આમ બંને પક્ષે સુખદ સમાધાન થયુ છે.
વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછવા માટે સમય ન આપવા બદલે ભારે હોબાળો મચાવ્યો હતો અને છુટ્ટા હાથથી મારામારી કરી હતી. જો કે ત્યારબાદ ગૃહના કાર્યમાં ખલેલ પહોંચાડવા બદલ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવાની દરખાસ્ત ગૃહમાં મૂકતાં જણાવ્યું હતું કે કાળ ચોઘડિયું બાઝી ગયું હતું, તેથી આવી ઘટના બની હતી. આપણે મીઠી યાદો સાથે બજેટ સત્રમાંથી છૂટા પડીએ. ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા સહિતના સભ્યોએ સકારાત્મક વલણ અપનાવ્યું છે તે અભિનંદનીય છે.
બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સામેની અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચી હતી. આમ કોંગ્રેસના ધારાસભ્યોનું 3 વર્ષનું સસ્પેન્શન હવે માત્ર આ સત્ર સમાપ્તિ સુધી જ ચાલુ રહેશે. સરકાર અને વિપક્ષ વચ્ચે સમાધાન માટે ગઇકાલથી જ બેઠકોનો દોર ચાલી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર સમયે ગૃહમાં મારામારીના શર્મસાર દ્રશ્યો સર્જાયા હતા. આ મામલે અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત, અમરીશ ડેર અને બળદેવજી ઠાકોરને સસ્પેન્ડ કર્યા હતા. પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને 3 વર્ષ માટે જ્યારે બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.