નવી દિલ્હી: દિલ્હી ખાતે સંસદમાં લોકસભા ગૃહમાં બુધવારે રાફેલ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે, મેં ગઈકાલે વડાપ્રધાન (PM) નો ઈન્ટરવ્યૂ જોયો હતો. જેમાં તેમણે (PM એ) કહ્યું હતું કે, મારા પર કોઈ આરોપ નથી. પરંતુ દેશની જનતા વડાપ્રધાન પાસેથી રાફેલ મુદ્દે જવાબ માંગી રહી છે. રાહુલે કહ્યું હતું કે, ગોઠવણી કરેલા ઇન્ટરવ્યૂમાં પણ વડાપ્રધાન રાફેલ મામલે કશું બોલી ન શક્યા.
લોકસભામાં સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાને યુપીએની ડીલને કેમ બદલી, શું એરફોર્સ તરફથી તેની માંગ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ડીલની કિંમત વધીને ત્રણ ગણી કેવી રીતે થઈ ગઈ? સાથે તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે, શું HAL ને ઓફસેટ પાર્ટનર કેમ ન બનાવવામાં આવી?
લોકસભામાં રાફેલ મામલે રાહુલ ગાંધીના આક્ષેપો
લોકસભામાં રાફેલ ડીલ અંગે પોતાના વક્તવ્ય દરમિયાન રાહુલ ગાંધીએ ઓડિયો ટેપનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ ટેપમાં સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યું છે કે ગોવાના ચીફ મિનિસ્ટર કહી રહ્યા છે કે રાફેલની ફાઈલો મારી પાસે છે.
રાહુલે વધુમાં કહ્યું હતું કે, આ મામલાની જેપીસી તપાસ થવી જોઈએ, કારણ કે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે રાફેલની તપાસ તેમના દાયરામાં નથી. કોર્ટે આ ડીલની માટે જેપીસી તપાસ કરવા અંગેનો ઇન્કાર નથી કર્યો. રાહુલે કહ્યું હતું કે, રાફેલ મામલે આજે આખો દેશ નરેન્દ્ર મોદી પર આંગળી ઉઠાવી રહ્યો છે.
લોકસભા ગૃહમાં હોબાળો શાંત થયા બાદ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું હતું કે, રાહુલજી તમે પોતાનું નિવેદન ફરીથી શરૂ કરી શકો છો પરંતુ તમારે પોતાની વાત કહેવી પડશે, અહી ટેપ રેકોર્ડર નથી ચલાવવાનું. આ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રાફેલ ડીલના જૂના કરાર મુજબ HAL ફાઇટર પ્લેન બનાવતું હતું અને લાખો યુવાનોને રોજગારી મળતી હતી. પરંતુ આ ડીલને અન્ય કંપનીને આપી દેવામાં આવી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગઈ વખતે વડાપ્રધાને ગૃહમાં આવી મારું ભાષણ સાંભળ્યું હતું. પરંતુ આજે તેમની ગૃહની અંદર આવવાની હિંમત નથી. રક્ષા મંત્રી અને વડાપ્રધાન એઆઈએડીએમકેના સાંસદોની પાછળ છૂપાઈ ગયા છે. તેઓએ કહ્યું કે આ રાફેલ ડીલમાં ઘણી બધી ગડબડો છે.
આ દરમિયાનમાં નાણામંત્રી અરૂણ જેટલીએ વચ્ચે ઊભા થઈને કહ્યું હતું કે, અગાઉ રાહુલ ગાંધી રાફેલ ડિલ વિશે ખોટું બોલ્યા હતા અને આજે એક નકલી ઓડિયો ટેપ દ્વારા ફરીથી ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓ સાંસદ તરીકે પોતાના વિશેષાધિકારનું હનન કરી રહ્યા છે.
જેના જવાબમાં રાહુલ ગાંધીએ ફરીથી સ્પીકર સમક્ષ માંગ કરતાં કહ્યું હતું કે, આ ટેપને ગૃહની અંદર સંભળાવવી જોઈએ. જો કે સ્પીકર દ્વારા રાહુલ ગાંધીને ગૃહમાં આ ઓડિયો ટેપને ગૃહમાં રજૂ કરવાની મંજૂરી આપવામાં ન મળી. જેના કારણે રાહુલ ગાંધીએ ટેપની વાતોને ગૃહમાં બોલીને સંભળાવી હતી.
રાહુલે ગૃહમાં કેટલાક સવાલો ઉઠાવ્યા હતા જે નીચે મુજબ છે.
-શું એરફોર્સે સરકારને કહ્યું હતું કે, અમારે 36 જ એરક્રાફ્ટ જોઈએ છે. જો એરક્રાફ્ટની ઉતાવળ હતી, તો અત્યાર સુધી કેમ એક પણ એરક્રાફ્ટ ભારતની ધરતી પર ઉતર્યું નથી.
PM મોદીએ ફ્રાન્સ જઈને ત્યાંના રાષ્ટ્રપતિ સાથે મળીને તેમણે રાફેલ ડીલ બદલી દીધી હતી. તેમ છતાં હજુ સુધી એક પણ રાફેલ પ્લેન કેમ નથી આવ્યું?
તત્કાલિન રક્ષા મંત્રી મનોહર પર્રિકરે ખુદ કહ્યું હતું કે, મને આ ડીલ વિશે કોઈ આઈડિયા નથી. મારો સવાલ એ છે કે શું એરફોર્સ સાથે વાત કર્યા વગર રાફેલનો સોદો બદલવામાં આવ્યો?