અમદાવાદ,
સાવરકુંડલા નજીક આવેલા જીરા ગામમાં પીવાના પાણીના કુવામાં કેટલાક અસામાજિક તત્ત્વોએ ઝેરી દવા ભેળવી નિર્દોષ લોકોના જીવન સાથે ખેલ કરતાં આ ઘટનાથી સરકારી તંત્ર ચોંકી ઉઠ્યું છે.
જોકે સદ્દનસીબે પંચાયતના કર્મચારીને આ અંગેની સમયસર જાણ થઇ જતા તાત્કાલીક પાણીનું વિતરણ અટકાવી દેવાતા હજારો લોકોની જિંદગી બચી ગઇ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, સાવરકુંડલાના જીરા ગામમાં છેલ્લા કેટલાય સમયથી બે જૂથો વચ્ચે રાજકીય અદાવત ચાલે છે. આ અદાવતના કારણે અનેકવાર ઝઘડાઓ પણ થયા છે. દરમ્યાનમાં જીરા ગામના પાદરમાં પીવાના પાણીનો કુવો આવેલો છે.
જીરા ગામમાં ૧પ૦૦ થી વધુ છે અને આ તમામ લોકો પીવા માટે આ કુવાનો ઉપયોગ કરે છે.
આ દરમ્યાન કોઇ અસામાજિક તત્ત્વોએ મોડી રાત્રે ગ્રામ પંચાયતના આ પીવાના પાણીના કૂવામાં અને બાજુમાં આવેલા સમ્પમાં ઝેરી પાઉડર ભેળવી દીધો હતો.
વહેલી સવારે ગ્રામ પંચાયતનો એક કર્મચારી પાણી વિતરણ માટે સમ્પનો વાલ્વ ખોલવા આવતા તેને પાણીનો કલર બદલાયેલો નજરે જણાયો આથી તેને શંકા ગઈ. તેટલું જ નહિ પણ કૂવાની બાજુમાંથી ઝેરી દવાની બે ખાલી થેલીઓ મળી આવતા તેની શંકા દૃઢ બની હતી અને કોઇ શખસોએ કૂવામાં ઝેર ભેળવ્યું હોવાનું જણાયું હતું.
તેને આ અંગે તાત્કાલીક પંચાયતના સરપંચને જાણ કરતા સરપંચે કૂવા પર પહોંચી જઇ મામલતદાર, ટીડીઓ અને પોલીસને જાણ કરતા સરકારી અધિકારીઓ જીરા ગામે પહોંચી ગયા હતા. સરકારી તંત્રએ તાત્કાલીક પાણીનું વિતરણ અટકાવી દીધું હતું અને ગામ લોકો માટે પીવાના પાણીની અલગ વ્યવસ્થા કરી હતી.