ઉદ્યોગકાર અને ભાજપના ઓલ ઈન્ડિયા લઘુમતી મોરચાના સભ્ય તેમજ કેન્દ્ર સરકારના નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દૂ લેન્ગવેજના પણ સભ્ય કાદર વાડીવાળા તેમજ તેમના પુત્રને અંડરવર્લ્ડના ડી ગેંગના કુખ્યાત ગેંગસ્ટર એજાજ લાકડાવાળા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.
ચોકબજાર ચારાગલી ખાતે રહેતા કાદર વાડીવાળા અને તેમનો પુત્ર અયાઝ સુરતમાં જમીનની લે વેચના ધંધા સાથે સંકળાયેલા છે. કાદર વાડીવાળા દાયકાઓથી ભાજપ સાથે સંકળાયેલા છે. સુરત ભાજપમાં વિવિધ સંગઠનોમાં પણ સેવા આપી ચુક્યા છે.
હાલમાં પણ કાદર વાડીવાળા ભાજપના ઓલ ઈન્ડિયા લઘુમતી મોરચાના સભ્ય છે અને સાથે સાથે કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિભાગ નેશનલ કાઉન્સિલર ફોર પ્રમોશન ફોર ઉર્દૂ લેંગ્વેજના સભ્ય છે. કાદર વાડીવાળા ચોકબજારમાં સીએનજી પંપ પણ ધરાવે છે જેમને ગત 25મી ઓક્ટોબરના રોજ મોબાઈલ પર ફોન આવ્યો હતો.
પણ અજાણ્યો અને વિદેશનો નંબર હોવાથી તેમણે ફોન ઉંચક્યો નહોતો. આથી 28મીના રોજ આ જ નંબર પરથી ફોન આવ્યો જે ન ઉંચકતા તેમાથી મેસેજ આવ્યો હતો. ધમકીના મેસેજથી શહેરમાં ફરી અંધારી આલમ સક્રિય થય હોવાના સંકેત સાથે ક્રાઈમબ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.