એફડીઆઇના વિરોધમાં ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને વડોદરામાં અશંતઃ સફળતા મળી હતી.
શહેરના હાથીખાના બજાર સહિત બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા. વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા વિશાળ સ્કૂટર રેલી કાઢવામાં આવી હતી. અને જિલ્લા કલેક્ટરને વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે થયેલા કરાર રદ કરવા સહિતની માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
વોલમાર્ટ જેવી કંપનીઓને ભારત દેશમાં આવતા અટકાવવા માટે દેશના વેપારીઓ સામે પડ્યા છે. ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા શુક્રવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ભારત બંધના એલાનમાં વડોદરા વેપાર-વિકાસ એસોસિએશન, બરોડા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન સહિત 40 જેટલા નાના-મોટા વેપારી સંગઠનોએ ટેકો જાહેર કરતા વડોદરામાં બંધને અંશતઃ સફળતા મળી હતી.
બંધના એલાનને પગલે વડોદરાના સૌથી મોટા ગણાતા એવા હાથીખાના બજાર, રાવપુરા, મદનઝાંપા રોડ, લહેરીપુરા રોડ, નવાબજાર, મંગળબજાર ઉપરાંત ચાર દરવાજા વિસ્તારના મોટા ભાગના બજારોએ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. અને એફડીઆઇનો વિરોધ વ્યક્ત કર્યો હતો.