ભિલોડા,
રાજ્યમાં મે મહિનાની આકરી ગરમી વચ્ચે અનેક ગામોમાં પાણીની જબરદસ્ત તકલીફ ઉભી થઇ ગઇ છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના 1500 થી વધુ વસ્તી ધરાવતા મઉ નવલપુર ગામે અઠવાડિયામાં એક વખત પીવાનું પાણી મળે છે અને ગ્રામજનોને 1 કિલોમીટર દૂર પાણી માટે જવું પડે છે.
ભિલોડા તાલુકાની પશ્ચિમે આવેલ મઉં નવલપુર ગામમાં 1500થી વધુ વસ્તી છે અને ગ્રામજનો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે ગામમાં ઉનાળાના સમયે પાણીની ભારે સમસ્યા સર્જાય છે.
મઉ ગામના સરપંચ પોતે સ્વીકારે છે, કે પાણી મળતું નથી. ગામના સરપંચ મુળાભાઇ વણઝારા કહે છે કે હાલ ગામમાં તેમજ આસપાસના વિસ્તારો માં પાણી ન સ્તર ખૂબ નીચા ગયેલા છે જેના કારણે પાણીની તકલીફ છે હાલ ગામમાં મોટર પણ બળી ગઈ છે તે રીપેર કરીને ઉતારવાની કામગીરી ચાલુ છે અને 14 માં નાણાંપંચ માંથી બોર મોટર મંજુર કરાવી છે તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથમતી અને ઇન્દ્રસી નદી ની યોજના નું પાણી ગામ ને મળે તે માટે પણ દરખાસ્ત તૈયાર કરી છે જેથી એક અઠવાડિયામાં મઉ ગામ માં સંપૂર્ણ રીતે પાણીની તકલીફ દૂર થઈ જશે.
મઉ નવલપુરામાં પાણની તંગીના કારણે ગામના કુવા તળાવ અને બોરના સ્તર ખૂબ નીચા ગયા છે જેના કારણે ગામમાં હાલ અઠવાડિયામાં એક વખત પાણી આવે છે અને એ પણ માત્ર 15 મિનિટ જેના કારણે ગામની મહિલાઓને દરરોજ સવારથી પાણી માટે રઝળપાટ કરવો પડે છે.
મઉમાં વહેલી સવારથી પોતાના દૈનિક કામકાજ છોડી ગામની મહિલાઓ ગામની સીમમાં આવેલ એક માત્ર કૂવે પાણી ભરવા નીકળી પડે છે.જે કુવામાંથી આ મહિલાઓ પાણી ભરે છે તે ગંદકીનો ભંડાર છે અને આખા ગામનો કચરો અહીં ઠલવાય છે.અત્યંત ગંદા કુવાનું પાણી પીવા મજબુર બનેલી મહિલાઓ માટે પાણીનો બીજો કોઇ સ્ત્રોત નથી.
આ કુવામાં પણ પાણી અશુદ્ધ હોવાથી પીવા લાયક નથી જેથી પીવા ના પાણી માટે ગામથી 1 કિલોમીટર દૂર ખેતરો માં જવું પડે છે. મઉં ગામ ની બાજુમાં હાથમતી અને ઇન્દ્રસી નદી પસાર થાય છે પરંતુ આ જળાશયો નો ગ્રામજનોને લાભ મળતો નથી સ્થાનિક વહીવટી તંત્ર પણ આ નદીના પાણી ગ્રામજનો ને મળે તે માટે નિષ્ક્રિય છે જેનો ભોગ ગામવાસીઓ ને બનવું પડે છે.
સૌથી મહત્વની બાબત એ છે કે ગામમાં પાણી સમસ્યા વખતે પાણી પુરવઠા વિભાગ દ્વારા હેન્ડપમ્પ બનાવવા માં આવ્યા નથી હાલ એક પણ હેન્ડપમ્પ ગામમાં નથી આમ ગ્રામજનો હાલ પાણી વગર પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે અને ગામના જવાબદાર વહીવટીદારો સામે રોષ ઠાલવી રહ્યા છે.