Gandhinagar News: ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે. આ વર્ષે રક્ષાબંધન 19મી તારીખના રોજ સોમવારે છે ત્યારે વરસાદ નહીં નડે તેવી ખાસ આગાહી કરવામાં આવી છે. જો કે રાજ્યમાં મેઘમહેર જળવાશે, પણ વરસાદ નડે તેવો નહીં હોય.
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગે આગાહી કરવામાં આવે છે. જેમાં સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે. તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ ઉપર આગામી 48 કલાક દરમિયાન કેટલાક સ્થળ પર છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આગામી 48 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની વકી ગુજરાતમાં છે.
ચોમાસાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો તે બાદ ત્યાં મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તેવી સ્થિતિ છે. ત્યારે હજુ પણ આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધીમીધારે સાર્વત્રિક મેઘમહેર રહેશે.
જોકે, આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કોઈ પણ જિલ્લામાં વરસાદી એલર્ટ જાહેર કર્યું નથી, પરંતુ ગાજવીજ સાથે આગામી 48 કલાક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત પહેલી જૂનથી ગુજરાતમાં 514 મિમી જેટલો વરસાદ વરસ્યો છે, જે સામાન્ય 462 મિમી કરતાં 11 ટકા વધુ છે. તો સૌરાષ્ટ્રમાં 458 મિમી જેટલો વરસાદ વરસ્યો છે, જે સામાન્ય 355 મિમી કરતાં 29% જેટલો વધુ છે. આગામી 17 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: મહેસાણામાં EVની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ થતા પરિવારનો અભૂતપુર્વ બચાવ
આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે આવ્યું 20 લાખનું વીજળીનું બિલ અને પછી….
આ પણ વાંચો: “ફરજી” વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો કાંડ
