ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. અવારનવાર સમાચરપત્રોમાં લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે યુવાનોને હાર્ટએટેકના કારણે મોતના અહેવાલ સામે આવ્યાં છે. ત્યારે આવો જ એક બનાવ શનિવારના રોજ દાહોદ જિલ્લામાં સામે આવ્યો છે.
દાહેદમાં અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધી જંયતી નિમિત્તે એમ્ફી થિયેટરમાં નાટકનું આયોજન કરાવાયુ હતું. બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર ભોજક દાહોદ ખાતે ‘બે અઢી ખીચડી કઢી’ નાટક ભજવવા આવ્યા હતા. નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
સંજય ગોરડીયા સહિત અન્ય 7 જેટલા પાત્રો નાટકમાં હતા. કલાકારના મૃતદેહને બોમ્બે લઈ જવામાં આવ્યો છે. કલાકારનું મોત થતાં સાથી કલાકારોમાં ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો.
તમને જણાવી દઇએ કે ભાસ્કર ભોજક ગુજરાતી નાટકોના જાણીતા કલાકાર છે. તેમની આગવી અભિનય શૈલીથી તેઓ દર્શકોનું દિલ જીતી લેતા હતા. ભાસ્કર ભોજકે નાટકો ઉપરાંત ઘણી સિરિયલોમાં પણ અભિનય કર્યો છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા ફોટોગ્રાફર અશોક રાવલ તેમના પરિવાર અને મહેમાનો સાથે શુક્રવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ બેઠક રૂમમાં વાતો કરતા હતા. આ દરમિયાન અચાનક જ તેમના દીકરા કેવિનને એસીડીટી જેવું થયું હતું. જેથી તે ગોળી લઈ આઈસ્ક્રીમ ખાઈને તેના રૂમમાં ગયો હતો. રૂમમાંથી અચાનક બહાર આવીને સીડીઓ ચઢી ઉપર જતા ઓસરીમાં ઢળી પડ્યો હતો. કેવિનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.