અમદાવાદ,
મંગળવાર ૧ મે, એટલે કે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ. ત્યારે આ પ્રસંગે એક દિવસ પહેલા સોમવારના રોજ મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા શહેરના કર્ણાવતી ક્લબ ખાતે ગુજરાતનું ગૌરવ નામના ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોતાના ક્ષેત્રોમાં નામના મેળવી રાજ્યનું નામ દેશ અને વિદેશમાં રોશન કર્યું છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે એવા મહાનુભાવોનું સન્માન કરવાનો હતો.
મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાતનું ગૌરવ નામના કાર્યક્રમમાં રાજ્યનું નામ દેશ અને વિદેશમાં રોશન કરનારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કિડની સ્પેશિયલિસ્ટ ડો. એચ એલ ત્રિવેદી, રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી તેમજ અમુલ ડેરીના ચેરમેન આર એસ સોઢી સહિતના ૧૭ મહાનુભાવોનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણી, રાજ્ય સરકારમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, દિલીપ સંઘાણી, મંતવ્ય ન્યુઝના CMD જીગ્નેશભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવેલા મહાનુભાવો :
(1) ડૉ. એચ. એલ. ત્રિવેદી
કિડનીની સારવાર માટે ડૉ. એચ. એલ. ત્રિવેદીએ કરેલા સંશોધનોથી જગતભરના દર્દીઓને ફાયદો થયો છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા પછી તેની સારવાર સૌથી અઘરી હતી. ડૉ. ત્રિવેદીએ અથાક પ્રયત્નો કરીને એવી પદ્ધતિ વિકસાવી જેના કારણે સારવાર સસ્તી થઈ. એટલું જ નહિ તે સરળ પણ થઈ. મનુષ્ય શરીર પારકું પોતાનું કરતું થયું, કેમ કે ડો. ત્રિવેદીએ પારકા દર્દીને પોતાના જ ગણ્યા હતા. ત્યારે ડૉ. એચ. એલ. ત્રિવેદીનું મંતવ્ય ફાઉન્ડેશ વતી સન્માન કરવામાં આવ્યું હતું.
(2) શ્રી જય વસાવડા, સાહિત્ય
ગુજરાતનો યુવાન વાંચતો નથી એ મેણું જેમણે ભાંગ્યુ એ લેખક એટલે જય વસાવડા. જય વસાવડાને યુવાનો ખૂબ વાંચે છે, માણે છે અને તેઓ ઉત્તમ વક્તા હોવાથી તેમને સાંભળવા માટે ઉમટી પડે છે. તેમના શબ્દો અને વિચારો યુવાનો ઉપરાંત દરેક પ્રકારના વાચકોને પણ જકડી રાખે છે. ગુજરાતના ધબકારને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ સુધી પહોંચતું કરનારા શ્રી જય વસાવડાનું મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
(3) શ્રીમતી કાનુબહેન પટેલ
પુરુષ સમોવડી એવો શબ્દ માત્ર સાંભળવા માટે નહિ, પણ નજરે જોવા માટે ગ્રામીણ નારીનું જીવન પારખવું જોઈએ, કેમ કે અડધોઅડધ બોજ સ્ત્રી ઉપાડી લે છે. દૂધ ઉત્પાદનના ક્ષેત્રે નવા વિક્રમો કરીને કાનુબહેને સ્વાવલંબન અને વિમેન એમ્પાવરમેન્ટને નવી વ્યાખ્યા આપી છે. પશુપાલનના વ્યવસાયમાં વર્ષે તેમણે સાબર ડેરીને દૂધ આપીને ૮૪ લાખ રૂપિયાથી પણ વધુની કમાણી કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે કાનુબહેન પટેલનું મંતવ્ય ફાઉન્ડેશન વતી સન્માન કરાયું હતું.
(4) શ્રીમતી હંસાબહેન પટેલ (ધરતી વિકાસ મંડળ)
ધરતી વિકાસ મંડળ એટલે ગુજરાતની 65 વર્ષ જૂની સંસ્થા. વટવૃક્ષ બનેલી આ સંસ્થાના શ્રીમતી હંસાબહેન પટેલની વાત કરીએ ત્યારે અચૂક કહેવું પડે કે તેમણે નારી કલ્યાણનું કાર્ય નોખા ચીલે કર્યું છે. તેમણે નારીના સ્વાવલંબન પર વિશેષ ભાર મૂક્યો અને મહિલાઓ કુટિરઉદ્યોગ શરૂ કરીને સ્વનિર્ભર થઈ શકે તે માટે ઉત્કૃષ્ટ પ્રદાન આપ્યું છે. ત્યારે શ્રીમતી હંસાબહેન પટેલનું મંતવ્ય ફાઉન્ડેશન વતી સન્માન કરવામાં આવ્યું હતું.
(5) કનુભાઈ ટેલર ( સામાજિક કાર્યો )
સામાજિક સેવાના ક્ષેત્રે ભેખધારી એવા સુરતના શ્રી કનુભાઈ ટેલરે અનેકના જીવનમાં દીવા પ્રગટાવ્યા છે. તેમણે દિવ્યાંગોને નિરાશ થયા વિના જીવનને જીવી જતા શીખવ્યું છે. કનુભાઈએ પોતાની મર્યાદાઓને પોતાની લક્ષ્યસિદ્ધિના માર્ગમાં ક્યાંય આડે આવવા દીધી નહિ. પોતાના જેવા અનેક દિવ્યાંગોને પગભર થવાની તક આપી અને આત્મવિશ્વાસ પણ અપાવ્યો હતો. ત્યારે શ્રી કનુભાઈનું મંતવ્ય ફાઉન્ડેશન વતી સન્માન કરવામાં આવ્યું હતું.
(6) શ્રી અનિલ બકેરી (રિયલ એસ્ટેટ)
શ્રી અનિલભાઇ બકેરી એટલે રિએસ્ટેટનું આબરૂદાર નામ. અમદાવાદમાં પાંચ દાયકા પહેલાં અનિલભાઇએ મૂલ્યોના જે પાયા નાખ્યા તેના પર આજ વિશાળ ઇમારત ઊભી થઈ છે. ઘરના ઘરનું સપનું કરનારા ડેવલપર્સ ગ્રાહકોના મનમાં વિશ્વાસ ડેવલપ કરી શકે તે બહુ જરૂરી હોય છે. બકેરી ગ્રુપે સમયસર પઝેશન અને ૧૦૦ ટકા લોન પેપર એવી બે ઉત્તમ બાબતોને પોતાનો મંત્ર બનાવ્યો છે. ત્યારે શ્રી અનિલભાઇ બકેરીનું મંતવ્ય ફાઉન્ડેશન વતી સન્માન કરવામાં આવ્યું હતું.
(7) શ્રી આર. એસ. સોઢી ( કો-ઓપરેટીવ સેક્ટર )
અમૂલ ગુજરાતની આન બાન અને શાન છે. અમૂલના કારણે થયેલી શ્વેત ક્રાંતિની નોંધ દુનિયાભરના દેશોએ લીધી છે. અમૂલનું સૂકાન સમયે સમયે યોગ્ય વ્યક્તિઓના હાથમાં આવતું રહ્યું છે અને છેલ્લા કેટલાય વર્ષોથી અમૂલને નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ કર્યું છે મેનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રી આર. એસ. સોઢીએ. એક સહકારી સેક્ટરમાં પ્રોફેશનલ કલ્ચર ઊભું કરવાનો શ્રેય જેમને મળે છે તેવા શ્રી સોઢીસાહેબને સહકારી સેક્ટરમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. ત્યારે શ્રી આર. એસ. સોઢીનું મંતવ્ય ફાઉન્ડેશન વતી સન્માન કરવામાં આવ્યું હતું.
(8) શ્રી પરિમલ નથવાણી ( રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ )
બિઝનેસ અને જાહેર જીવનને એક સાથે વણી લઈને શ્રી પરિમલ નથવાણીએ અનેકને ઉદાહરણ પૂરું પાડ્યું છે. બિઝનેસ ફૂલેફાલે અને જાહેર જીવનમાં સૌ કોઈનું કલ્યાણ પણ થાય, આ બંને બાબતોના તાણાવાણાને એક સાથે જોડવાનું અઘરું કામ તેમણે સફળતાપૂર્વક કર્યું છે. રિલાયન્સ જૂથ વતી તેમણે અનેક સામાજિક સેવાના અને રાહતના કાર્યો પાર પાડ્યા છે.
રાજ્યસભાના સાંસદ તરીકે મળતા ભંડોળનો ઉત્તમ ઉપયોગ કરીને તેમણે પ્રજાના પ્રતિનિધિઓ માટે પણ દાખલો બેસાડ્યો છે. શેરબજારથી શરૂ કરનારા પરિમલભાઇએ તે પછી બહુ લાંબી મઝલ કાપી છે. તેઓ ઝારખંડમાંથી સ્વતંત્ર રીતે રાજ્યસભામાં ચૂંટાયા તે પણ ભારતીય રાજકીય ઇતિહાસની અનોખી ઘટના હતી. જામનગરમાં રિલાયન્સની રિફાઇનરી તૈયાર થતી વખતે તેમણે સ્થાનિક લોકો સાથે એટલા સામંજસ્ય સાથે કામ પાડ્યું કે કોર્પોરેટ હિસ્ટરીમાં તેને એક કેસ સ્ટડી તરીકે જોવામાં આવે છે. ત્યારે શ્રી પરિમલભાઇ નથવાણીનું મંતવ્ય ફાઉન્ડેશન વતી સન્માન કરાયું હતું.
(9) ડૉ. કે. એલ. મહેતા (ફાર્માસ્યુટિકલ)
ગ્લોબલ લેવલે જાણીતી ગુજરાતી ફાર્મા કંપનીઓમાં અલગ તરી આવે છે ડૉ. કે. એલ. મહેતાની કોરોના રેમેડીઝ. ફાર્મા સેક્ટરમાં વિશ્વની જાયન્ટ કંપની સામે સ્પર્ધામાં ટકી રહેવું એક ચેલેન્જ છે, ત્યારે તે ચેલેન્જની રેમેડી શોધી કાઢી છે ડૉ. મહેતાએ. આ ગરવા ગુજરાતીની કંપનીએ વિશ્વની બે મશહૂર ફોર્મ્યુલેશન્સ બનાવતી કંપનીઓ ખરીદી લઈને ઇતિહાસ રચી દીધો છે. ત્યારે ડૉ. કે. એલ. મહેતાનું મંતવ્ય ફાઉન્ડેશન વતી સન્માન કરવામાં આવ્યું હતું.
(10) શ્રી કૌતિક શાહ ( ઇકો ફ્રેન્ડલી હાઉસીંગ )
હાઉસિંગનું સેક્ટર માત્ર બિઝનેસની રીતે નહિ, પણ સામાજિક અને પર્યાવરણની રીતે પણ અગત્યનું છે તે વાત સારી રીતે જાણીતા કૌતિક શાહે ઇકો ફ્રેન્ડલી હાઉસિંગના કન્સેપ્ટને અપનાવ્યો. તેનાથી બે ફાયદા થાય છે – પર્યાવરણની જાળવણી થાય અને મધ્યમવર્ગના માનવીનું ઘરના ઘરનું સપનું પણ સાકાર થાય. ત્યારે શ્રી કૌતિકભાઇ શાહનું મંતવ્ય ફાઉન્ડેશ વતી સન્માન કરવામાં આવ્યું હતું.
(11) શ્રી રાકેશભાઇ પટેલ ( શિક્ષણ )
બેટી બચાવો, બેટી ભણાવો માત્ર સૂત્રમાં ના રહે, પણ સાકાર થાય તે માટે પ્રયાસો કરનારા શ્રી રાકેશભાઇ પટેલે અનોખો માર્ગ અપનાવ્યો. દિકરી શું કરી શકે છે તેનો પ્રત્યક્ષ દાખલો બેસાડવા સાણંદ નજીકના ઝોલાપુર ગામની કન્યાઓને તેમણે સ્પોર્ટ્સમાં સક્રીય કરી. રાજ્ય કક્ષાએ ખેલ કુંભમાં અને પછી તો રાષ્ટ્રીય સ્તરે પણ દિકરીઓ મેડલ લઈ આવી અને માનસ બદલાઇ ગયું. પરિવર્તનના પ્રયોગશીલ શ્રી રાકેશભાઇ પટેલનું આવો મંતવ્ય ફાઉન્ડેશન વતી સન્માન કરાયું હતું.
(12) શ્રી અભિષેક દેસાઇ ( સ્ટાર્ટ અપ, ક્રિકહિરોઝ )
એક એક રનની ગણતરી કરતા ક્રિકેટ ચાહકોને રાજી રાખવા માટે ક્રિકેટર પોતે શું કરી શકે? આ સવાલમાંથી આવ્યો એક આઇડિયા અને શરૂ થયું સ્ટાર્ટ અપ. જેનું નામ છે ક્રિકહિરોઝ. ક્રિકહિરોઝના ફાઉન્ડર શ્રી અભિષેક દેસાઇનું વિઝન છે ક્રિકેટ લોકપ્રિય હોય તેવા દેશોમાં વિશ્વનું સૌથી વિશાળ ક્રિકેટ નેટવર્ક તૈયાર કરવું. વિઝનને સાકાર કરીને યુવાનોને પ્રેરણા આપનારા શ્રી અભિષેક દેસાઇનું મંતવ્ય ફાઉન્ડેશન વતી સન્માન કરવામાં આવ્યું હતું.
(13) શ્રી પંકજ દાણીધારિયા (M.D. A Star Mobile)
મોબાઇલનું માર્કેટ ભારતમાં બહુ ઝડપથી વધ્યું છે અને તેમાં સફળતાનું નામ એટલે શ્રી પંકજ દાણીધારિયા. એક તરફ આઇ-ફોન તો બીજી તરફ ચીન, કોરિયા, તાઇવાનની કંપનીઓની સ્પર્ધા. આવી સ્થિતિ વચ્ચે ભારતમાં મોબાઇલ માર્કેટમાં પંકજભાઇએ આગવી સૂઝથી સફળતા મેળવી છે. ત્યારે શ્રી પંકજભાઇ દાણીધારિયાનું મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા સન્માન કરાયું હતું.
(14) શ્રી જયપ્રકાશ પટેલ ( સ્પોટ્ર્સ )
બે દાયકા કરતાં પણ વધારે સમયથી અમદાવાદમાં ક્રિકેટનું કોચિંગ આપી રહેલા જયપ્રકાશ પટેલ આદર્શ કોચનો ઉત્તમ નમૂનો છે. તેમના હાથ નીચે ગુજરાતના અનેક ક્રિકેટરો તૈયાર થયા છે, જેમણે રણજી ટ્રોફીમાં ગુજરાતને સફળતા અપાવી છે. તેમના હાથ નીચે તૈયાર થયેલા ક્રિકેટરો અંડર નાઇનટિનમાં પણ ઉત્તમ પ્રદર્શન કરતાં રહ્યા છે. આવા ડેડિકેશન બદલ શ્રી જયપ્રકાશ પટેલનું મંતવ્ય ફાઉન્ડેશન વતી સન્માન કરવામાં આવ્યું હતું.
(15) શ્રી ઋજુલ વોરા ( પરફોર્મિંગ આર્ટસ )
ડ્રમ પર થાપ પડવા લાગે અને થનગનવા લાગે તન અને મન, મનમાં ધૂન ગુંજે અને હાથ આપવા લાગે તાલ… માત્ર મજા માટે નહિ, પણ ટીમ બિલ્ડિંગ માટે અને કોર્પોરેટ ટ્રેનિંગ માટે ડ્રમનો ઉપયોગ અનોખો વિચાર છે. આ ઉપરાંત સ્ટ્રેસને દૂર કરવા અને જુદા જુદા સર્કલના લોકોને એક બીજા સાથે કનેક્ટ કરવા માટે ડ્રમ સર્કલનો અનોખો કન્સેપ્ટ લઈ આવેલા શ્રી ઋજુલ વોરાનું મંતવ્ય ફાઉન્ડેશન વતી સન્માન કરવામાં આવ્યું હતું.
(16) શ્રી દિવ્યાંગ ગાંધી (M.D. Divya Immigration)
ગુજરાતીઓ સદાય વિશ્વપ્રવાસી રહ્યા છે, પણ આધુનિક યુગમાં વીઝા મેળવવા મુશ્કેલ બનતા જાય છે ત્યારે તેના માટે પ્રોફેશનલ માર્ગદર્શન મેળવવું જરૂરી બન્યું છે. વિદ્યાર્થીઓથી માંડીને પ્રોફેશનલ અને ફેમિલી માટે પણ વીઝા માર્ગદર્શનના ક્ષેત્રે વડોદરાની દિવી ઇમિગ્રેશનના દિવ્યાંગ ગાંધી અને તેમની ટીમે ઉત્તમ કામગીરી કરી છે. ત્યારે શ્રી દિવ્યાંગ ગાંધીનું મંતવ્ય ફાઉન્ડેશ વતી સન્માન કરવામાં આવ્યું હતું.
(17) શ્રી વિરલ જયસ્વાલ (M.D. KAPLON)
વિદેશગમન માટે આતુર ગુજરાતી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ શ્રી વિરલભાઇ જયસ્વાલે કર્યું છે. કમ્પ્યૂટર ક્લાસથી શરૂઆત કરીને કોર્પોરેટર ટ્રેનિંગ અને વ્યક્તિત્ત્વ વિકાસ સુધીની સફર વિરલભાઇએ સફળતા રીતે પૂર્ણ કરી છે ત્યારે તેમનું અભિવાદન કરવું જ રહ્યું. ત્યારે શ્રી વિરલભાઇ જયસ્વાલનું મંતવ્ય ફાઉન્ડેશન વતી સન્માન કરવામાં આવ્યું હતું.