માતા અંજની અને કપિરાજ કેસરી હનુમાનજીને અતિશય પ્રેમ કરતા. માતા હનુમાનજીને સુવડાવીને ફળ-ફૂલ લેવા ગયાં હતા. આ સમયે બાળ હનુમાનને ભૂખ લાગી અને માતાની અનુપસ્થિતિમાં ભૂખથી આક્રંદ કરવા લાગ્યા. આ દરમ્યાન અચાનક તેમની નજર ક્ષિતિજ પર પડી. સૂર્યોદય થઈ રહ્યો હતો. બાળ હનુમાનને થયું કે આ કોઈ લાલ ફળ છે. આ લાલ ફળને લેવા માટે હનુમાનજી વાયુવેગે આકાશમાં ઉડવા લાગ્યા. એમને જોઈ તમામ દેવો, દાનવો વિસમયતાપૂર્વક કહેવા લાગ્યા કે બાલ્યાવસ્થામાં આવું પરાક્રમ કરનાર યૌવનકાળમાં શું નહીં કરે?
વાયુદેવે પોતાના પુત્રને સૂર્યની સામે જતા જોઈને ચિંતા થવા લાગી કે ક્યાંક મારા પુત્રને આ સૂર્યના કિરણો બાળી ન નાંખે, એ સળગી ન જાય. એના કારણે પવનદેવ પોતે પણ બરફ જેવા શીતળ થઈ વહેવા લાગ્યા. જો કે ભગાવન સૂર્યદેવને પણ અલૌકિક બાળક હનુમાનને પોતાની તરફ આવતા જોઈ તેમને ઓળખતા વાર ના લાગી કે આ તો પવનપુત્ર છે, જે એમના પિતાના જેટલા જ વેગથી મારી તરફ આવી રહ્યા છે અને સાથે પવનદેવ પણ એમના પુત્રની સાથે રક્ષા માટે ઉડી રહ્યા છે.
સૂર્યદેવને પોતાનું સૌભાગ્ય સમજાયું કે સ્વયં ભગવાન શિવશંકર, હનુમાનના રૂપમાં મને કૃતાર્થ કરવા આવી રહ્યા છે. તો હનુમાનજીને સૂર્યદેવ તરફથી આવકાર મળ્યો ને બાળક હનુમાનજી સૂર્યદેવના રથ સાથે રમવા લાગ્યા. સંયોગ એવો હતો કે એ દિવસે અમાસ હતી અને સંહિક્ષનો પુત્ર રાહુ સૂર્યદેવને ગ્રસવા આવ્યો. રાહુએ જોયું કે સૂર્યદેવના રથ પર કોઈ બાળક છે. તે છતાં રાહુ બાળકની ચિંતા ક્રયા વગર સૂર્યને ગ્રસવા આગળ વધ્યો જ હતો ત્યાં તો હનુમાનજીએ રાહુને પકડ્યો, હનુમાનજીની મુઠ્ઠીમાં રાહુ તરફડવા લાગ્યો અને પ્રાણ બચાવી ભાગ્યો અને ઇન્દર્દેવ પાસે પહોંચ્યો અને તેમની ફરિયાદ કરી સૂર્ય મારો જે ગ્રાસ છે તેમને તમે બીજાને ગ્રસવાનો અધિકાર કેમ આપ્યો. એમ કહી રૂદન કરવા લાગ્યો. ઈન્દ્રદેવ ચિંતીત થયા કે આ કોણ હશે કે જે રાહુ જેવા પરાક્રમીને પણ મહાત કરે.
શ્રી ઈનદ્રદેવ પોતે ઐરાવત હાથીને લઈ ઘટનાસ્થળ પર પહોંચ્યા. ત્યાં રાહુને જોઈ ફરીથી હનુમાનજીએ તેને પકડ્યો. રાહુ ફરી તેમનાથી બચીને ભાગવા લાગ્યો અને ઈન્દ્રદેવ પાસે પહોંચ્યો. ત્યારે રાહુની પાછળ હનુમાનજી પણ તેની પાછળ ભાગયા ત્યારે ત્યાં હનુમાનજીએ ઈન્દ્રદેવનું વાહન ઐરાવતને જોઈ તેને કોઈ ખાદ્યપદાર્થ સમજી ઐરાવત પર તૂટી પડ્યા. ઈન્દ્રદેવ પણ બાળકની તાકાત જોઈને ડરવા લાગ્યા અને ત્યારે જ પોતાની રક્ષા માટે હનુમાનજી પર પોતાના હથિયાર વજ્રનો પ્રહાર કર્યો, જે હનુમનજીની દાઢી પર વાગ્યો, (જેને સંસ્કૃતમાં હનુ(દાઢીને) કહેવામાં આવે છે. અને તેથી જ હનુમાનજીનું નામ “હનુમાન’’ પડ્યું.) અને હનુમાનજી મૂર્છિત થયા. તો પોતાના પ્રાણપ્રિય પુત્રને વજ્રના આઘાતથી તરફડતા જોઈ વાયુદેવે પોતાનો વેગ રોકી લીધો, તેમને વાયુની ગતિ રોકી લીધી અને પોતાના પુત્રને ગુફામાં લઈ જતા રહ્યા.
આમ થતાની સાથે જ ત્રણે લોકમાં વાયુનો સંસાર બંધ થઈ ગયો. સમસ્ત પ્રાણીઓમાં શ્વાસ સંચાર બંધ થયો બધા જ કર્મ રોકાઈ ગયા, પ્રાણ સંકટમાં પડી ગયા. ઈન્દ્ર આદી દેવો, અસુરો, ગન્ધર્વ, નાગ આ બધા જીવનરક્ષા માટે બ્રહ્માજી પાસે દોડ્યા. બ્રહ્માજી બધાને સાથે લઈ ગિરીગુફામાં પહોંચ્યા અને ત્યાં જઈને બાળક હનુમાનને પવનદેવના હાથમાંથી લઈ પોતાના ખોળામાં જ્યારે લીધા ત્યારે હનુમાનજીની મૂર્છા દૂર થઈ અને તે બેઠા થઈ ફરી રમવા લાગ્યા. પોતાના પુત્રને જીવંત જોઈ પ્રાણસ્વરૂપ પવનદેવ પહેલાની જેમ સરળતાથી વહેવા લાગ્યા અને ત્રણેય લોક ફરી જીવંત થયા.
ત્યારે બ્રહ્માજીએ હનુમાનજીને વરદાન આપ્યું કે આ બાળકને બ્રહ્મશાપ નહિ લાગે, કયારેય એમનું એકેય અંગ પણ શસ્ત્રથી નહિ કપાય, બ્રહ્માજીએ અન્ય દેવતાઓને પણ કહ્યું કે આ બાળકને આપ પણ વરદાન આપો ત્યારે દેવરાજ ઈન્દ્રે હનુમાનજીના કંઠમાં કમળની માળા પહેરાવી કહ્યું કે મારા વજ્રના પ્રહારથી આ બાળકની હુ(દાઢી) તૂટી છે એટલે આ કપિશ્રેષ્ઠનું નામ આજથી હનુમાન રહેશે અને મારું વજ્ર પણ આ બાળકને નુકશાન પહોંચાડી શકેશે નહીં એટલું વજ્રથી પણ કઠોર આ બાળકપિ થશે. સૂર્યદેવે પણ કહ્યું કે આ બાળકને હું મારું તેજ પ્રદાન કરું છુ અને હું આને શાસ્ત્ર-સમર્થ મર્મજ્ઞ બનાવુ છું. આ બાળક એક અદ્વિતિય વિદ્વાન અને સર્વશ્રેષ્ઠ વક્તા થશે. વરુણદેવે કહ્યું કે આ બાળક જળથી સદા સુરક્ષિત રહેશે. યમદેવે કહ્યું કે આ બાળક સદા નિરોગી અને મારા દંડથી મુક્ત રહેશે. કુબેરે કહ્યું કે યુદ્ધમાં કદી વિષાદીત નહિ થાય અને રાક્ષસોથી પરાજીત પણ નહિ થાય. ખુદ ભોળાનાથ શિવશંકરે પણ અભય વરદાન પ્રદાન કર્યું. વિશ્વકર્માએ પણ કહ્યું કે મારા દ્વાર નિર્મિત તમામ શસ્ત્ર અને વસ્તુઓથી પણ સુરક્ષિત રહેશે. બ્રહ્માજીએ પુનઃ વરદાન આપ્યું કે પવનદેવ, આપનો આ પુત્ર શત્રુઓ માટે ભયંકર અને મિત્રો માટે અભયદાતા બની રહેશે અને ઈચ્છારૂપ ધારણ કરી શકશે. જ્યાં જવા ઈચ્છશે ત્યાં જઈ શકશે. એને કોઈ પરાજીત નહિ કરી શકે એવો અસિમ યશસ્વી થશે અને અદભુત કાર્યો કરશે.
આમ, બાળપણમાં હનુમાનજી ચંચળ અને નટખટ સ્વભાવના હતા. હાથીની શક્તિ માપવા હાથીને પકડતા અને ઊંચકી એમની શક્તિનું પ્રદર્શન કરતા. મોટામોટા વૃક્ષોને પણ જડમૂળમાંથી ઉખાડી ફેંકતા એવી અતુટ શક્તિ એમનામાં હતી. એવું કોઈ શિખર ન હતું કે જેના ઉપર હનુમાનજીએ છલાંગ ન મારી હોય.
કોઈકવાર ઋષિમુનિઓના આશ્રમમાં પહોંચી જતા અને નાદાન અટકચાળા કરતા કે જેનાથી ઋષિમુનિઓની તપસ્યા અને વ્રતમાં ભંગ પડતો. ઋષિમુનિઓના કમંડળ, આસન વગેરે ઝાડ પર લટકાવી દેતા, આમ અનેક અડચણો ઉભી કરતા. આયુ વધતાની સાથે હનુમાનજીની નટખટતા પણ વધતી ગઈ તેથી તેમના માતા-પિતા પણ ચિંતિત થયા. ત્યાર પછી તેઓ ઋષિ પાસે પહોંચ્યા અને ઋષિઓને હનુમાનજીની ગાથા તેઓને સંભળાવી, ત્યારે વાનરરાજ કેસરીએ કહ્યું કે અમને આ બાળક કઠોર તપના પ્રભાવથી પ્રાપ્ત થયો છે. આપ એના પર અનુગ્રહ કરો એવી કૃપા કરો કે જેનાથી એમની આ નટખટતામાં પરિવર્તન થાય. ઋષિઓએ વિચાર્યું કે જો હનુમાનજી એમનું બળ ભૂલી જાય તો આવા તોફાન નહીં કરે અને એમનું હિત પણ એમાં જ સમાયેલું છે. ઋષિઓ જાણતા હતા કે આ બાળક રામના કાર્ય માટે જનમ્યો છે અને એમનું સંસ્કારી બળ વધુ કરવાની જરુર છે. આમ વિચારીને ભૃગુ અને અંગિરાના વંશમાં ઉત્પન્ન થયેલા ઋષિમુનિઓએ હનુમાનજીને શ્રાપ આપ્યો કે વાનરવીર તને તારા બળનું અને તેજનું ધ્યાન નહીં રહે અને જ્યારે કોઈ તારી કીર્તિ અને બળનું સ્મરણ કરાવશે ત્યારે તારું બળ વધશે. આવા શ્રાપથી હનુમાનજીનું બળ અને તેજ ઓછું થઈ ગયું અને એ સૌમ્ય સ્વભાવના થઈ ગયા. આથી, ઋષિઓ પણ પ્રસન્ન થયા.
ત્યારબાદ હનુમાનજીના ઉપનયન સંસ્કાર થયા. ભગવાનશ્રી સૂર્યનારાયણને ગુરુ બનાવ્યા. સમસ્ત વેદશાસ્ત્ર, ઉપશાસ્ત્ર સવિધિ શિક્ષાપ્રાપ્ત કરી અને સૂર્યનારાયણ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરતાં કરતાં હનુમાનજીએ હર હંમેશ રામનામ અને એમનું સ્મરણ કર્યે રાખ્યું. રામના સ્મરણમાં જાણે હનુમાનજી ભક્તિમય થઈ ગયા.