ભાઇ જમાનો તો સોશિયલ મીડિયાનો છે. કોઇ પણ જરૂરિયાત હોય ઓનલાઇન પુરી થઇ જાય. આવુ આપણે વારંવાર સાંભળીએ છીએ, પરંતુ શું દરેક જરૂરિયાત ઓનલાઇન પુરી થઇ જાય છે..? તો જવાબ છે ના..આજે સોશિયલ સાઇટ પર વાંચન સામગ્રીનો ભંડારો છે છતા પણ વાંચન રસીકોની તરસ તો પુસ્તક જ પુર્ણ કરે છે. સમય સાથે બદલાવ આવે છે પરંતુ દરેક વસ્તુ નથી બદલાઇ જતી. તેનું ઉત્તમ ઉદાહરણ છે કલોક શહેરમાં આવેલી હોલી ચાઇલ્ડ સ્કુલનો પુસ્તક મેળો અને ભરૂચ જેવા શહેરોમાં વર્ષોથી ચાલતી પુસ્તક પરબ.
પુસ્તકો જીવન જીવવાની સાચી જડીબુટ્ટી
નારદ સ્મુતિના શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જો બ્રહ્માએ લેખનથી નેત્રનો વિકાસ ન કર્યો હોત તો ક્યારેય ત્રણ લોકમાં શુભ ગતિ મળીના હોત. ભારતમાં લેખનકલાને વિશ્વની સૌથી પ્રાચીન કલા માનવામાં આવે છે. કદાચ આજ કારણોસર ઋગ્વેદને વિશ્વનો પૌરાણીક ગ્રંથ માનવામાં આવે છે. અરબી ભાષામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પુસ્તકએ ખિસ્સામાં રાખેલો બગિચો છે. તો વળી અનેક મહાનુભાવોએ આ વિશે પોતાના અનેક વિચારો પણ દર્શાવ્યા છે. રવીન્દ્ધનાથ ટાગોર કહે છે કે ધનબળ, શક્તિબળ અને આયુષ્યબળ કરતા પણ જો કોઇ ચડિયાતુ હોય તો તે પુસ્તકબળ છે. જ્યારે સ્વામિ વિવેકાનંદ કહે છે કે સારા પુસ્તકો વિનાનું ઘર સ્માશન જેવુ છે. સ્વામી રામતીર્થન મિત્રોને પુસ્તક સાથે સરખાવતા કહે છે કે, પુસ્તકોએ કદી નિષ્ફળ ન જનારા દોસ્તોમાં સૌથી ઉપર છે. આ ઉપરાંત અનેક મહાનુભાવોએ પુસ્તકોને જીવન જીવવાની સાચી જડીબુટ્ટી ઘણી છે. માટે જ આપણે વડીલોના મોઢે હંમેશા સાંભળ્યું છે કે જ્યારે મુંજવણ અનુભવો ત્યારે ભગવદ્ ગીતા વાંચજો તેમાં તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ મળી જશે. આ સીવાય જ્યારે કોઇ મુશ્કેલીનો રસ્તો મળતો ના હોય ત્યારે સારા પુસ્તકના કોઇ પણ પેજ પર સમસ્યાનું સમાધાન મળી જશે. આ વાત નવાઇ ઉપજાવે તેવી છે. પરંતુ ઘણા લોકોના અનુભવ પછી આ ઊક્તિને ઉજાગર કરવામાં આવી છે. આ વાતને આલેખવી જરૂરી એટલે છે કે આજે આપણે જે વાત કરવા જઇ રહ્યા છીએ તેમાં પુસ્તકોના મુલ્યને સમજાવતી અનોખી રજૂઆત છે.
કદાચ ઘણા લોકો આ વાતથી અજાણ હશે કે ભરૃચ શહેરમાં પુસ્તક પરબ ચાલી રહી છે. જેમાં ગરીબ અને જરૃરિયાતમંદ બાળકોને અભ્યાસ માટે પુસ્તક આપવામાં આવે છે અને તે પણ વિના મૂલ્યે. પુસ્તકની પરબ વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષણ થકી વિદ્યાની તરસ છીપાવે છે. શહેરના દરેક વિસ્તારમાંથી પુસ્તક પરબ કેન્દ્ર જૂનાં પુસ્તકો ઉઘરાવવાનું કાર્ય કરે છે અને તે જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે. એટલું જ નહીં, દર વર્ષે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ પણ આપે છે. વર્ષો પહેલાં શરૃ કરવામાં આવેલી આ આજે પણ વિદ્યાદાનનું મહત્ત્વનું પરિબળ ગણાતા પુસ્તકના વિતરણનું કાર્ય યથાવત્ ચાલી રહ્યું છે. દર વર્ષે ત્રણ હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપવામાં આવે છે.
પુસ્તક આપણો સાચો મિત્ર
અંગ્રેજીમાં એક કહેવત છે વેલ બિગિનિંગ એન્ડ હાફ ડન અર્થાત્ જેની શરૃઆત સારી થાય તેનું અડધું કામ પૂર્ણ થઈ જાય છે. તેવી જ રીતે આ પુસ્તક પરબ કેન્દ્રની સારી શરૃઆતથી અન્ય શહેરીજનોમાં પણ સેવાભાવની લાગણી ઉદ્ભવી. પરબની શરૃઆત કેવી રીતે થઈ તે જાણવાની સહજ ઇચ્છા થઈ આવે. આ પરબના સ્થાપક ભરતભાઈ શાહ મંતવ્ય સાથે આ વિશે વાત કરતાં કહે છે, ‘સામાન્ય દિવસોની જેમ જ હું પસ્તીવાળાના ત્યાં કામ અર્થે ગયો હતો. ત્યાં મેં જોયું કે સારા અને બીજાને ઉપયોગી બની રહે તેવાં પુસ્તકો પસ્તીના ભાવે વેચાઈ રહ્યા છે. ત્યારે મને ચાર્લી લોવેટનું સુવાક્ય યાદ આવ્યું કે પુસ્તક આપણો સાચો મિત્ર છે. બસ, પછી શું, આ મિત્રને આ રીતે રદ્દીના ભાવે વેચાતા અને બિનઉપયોગી થતાં બચાવી, જરૃરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની ઝુંબેશ શરૃ કરી. શરૃઆતમાં એકલા ચાલવાની ફરજ પડી, પરંતુ સમય સાથે આ પરબમાં લોકો સ્વયમ જોડાતા ગયા. તે સમયના વિચારે આજે વટવૃક્ષનું સ્વરૃપ લઈ લીધું છે. હવે તો કૉલેજના વિદ્યાર્થીઓ, આસપાસ રહેતા લોકો અને ઘણા બધા સાથી મિત્રો આ કામમાં મદદ કરે છે. આ ઉપરાંત પણ અમારી પાસે અનેક સાહિત્યલક્ષી, ઇતિહાસના અને ઘણાબધા પુસ્તકો છે જે પણ વિના મૂલ્યે વાંચવા માટે આપવામાં આવે છે. સમગ્ર કામ પારદર્શક રીતે કરવામાં આવે છે. ઉપરાંત કોઈ પણ જાતિ-જ્ઞાતિના ભેદ વિના આ પરબ દરેક વિદ્યાર્થીની પુસ્તકની તરસને તૃપ્ત કરે છે.’
પુસ્તક પરબ કેન્દ્ર દ્વારા ૪૦થી ૪૫ જેટલી શાળાઓને પત્ર લખીને ગરીબ તથા જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓની યાદી મંગાવીને પુસ્તકો અને શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત શહેરની ૨૫થી ૩૦ હાઈસ્કૂલ, આંગણવાડીઓ અને અનાથ આશ્રમનાં ૩૫૦૦ જેટલાં બાળકોને પણ પુસ્તક પરબ કેન્દ્ર દ્વારા શિક્ષણ કિટ અને પુસ્તકો આપવામાં આવે છે.
બાર વર્ષથી ચાલે છે પુસ્તક મેળો
પુસ્તક મેળાનું આયોજન પર્સનલ લેવલે કે સંસ્થાઓ દ્વારા અને પ્રકાશકો તો વર્ષોથી કરતા આવ્યા છે પરંતુ જ્યારે શાળા આવો પ્રયત્ન શરૃ કરે ત્યારે તેની નોંધ લેવી જોઈએ. ઉત્તર ગુજરાતના કલોલ ગામની હોલી ચાઇલ્ડ સ્કૂલ દાયકા કરતા પણ વધૂ સમયથી પુસ્તક મેળાનું આયોજન કરે છે. તે જે કાર્ય કરે છે તેવું જ્વલ્લે જ ગુજરાતમાં કોઈ કરતું હશે. વિવિધ વિષયના અને લોકોને ઉપયોગી નિવડે તેવા શ્રેષ્ઠ પુસ્તકો લોકો સુધી પહોંચાડવાના આ પ્રયાસને માત્ર શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ જ નહીં, પરંતુ સમગ્ર શહેર અને આજુબાજુમાં વસ્તા ગામવાસીઓ પણ આવકારે છે.
જ્ઞાન મેળવવા પણ પુસ્તકો વાંચવા પડે
આંખ સામે રહેલી વસ્તુનું જ્ઞાન મેળવવા પણ પુસ્તકો વાંચવા પડે છે. તેમ કહેતાં શાળાનાં આચાર્યા હેતલ પટેલ મંતવ્યને કહે છે, ‘દસ વર્ષ કરતા પણ વધારે સમય થિ ગયો આ પુસ્તક મેળાને જે અમે સાથે મળીને શરૃ કરેલુ કાર્ય છે. જેમાં શાળાના તમામ સ્ટાફ અને ટ્રસ્ટીઓનો પૂરો સહકાર રહે છે.’ પુસ્તક મેળાનું આયોજન કરવા પાછળના હેતુને સમજાવતા હેતલ કહે છે, ‘આજે ઇન્ટરનેટ અને સોશિયલ સાઇટની દુનિયા ધીમે-ધીમે મોટી થતી જાય છે અને સંસ્કારો અને સંસ્કૃતિનું જ્ઞાન ઓછું થતું જાય છે. તેવા સમયમાં આ એક એવું અભિયાન છે જે લોકો માટે ઉપયોગી બની રહે છે.’
સારું વાંચન સારા વિચારો માટે ઉપયોગી મેડિસિન
લિફ્ટ આવવાથી પગથિયાંની જરૃરિયાત બંધ નથી થઈ, તેમ કહેતા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી હરીશભાઈ બ્રહ્મભટ્ટ મંતવ્યને કહે છે, ‘સોશિયલ મીડિયામાં ભલે ગમે તેટલી ક્રાંતિ આવી હોય, છતાં સારું વાંચન સારા વિચારો માટે ઉપયોગી મેડિસિન છે. વાલીઓ માટે ખાસ લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં કોઈ પણ વાલી પોતાની પસંદગીની બુક વાંચી શકે છે. જ્યારે બાળકો માટે પણ અલગથી લાઇબ્રેરી છે જ્યાં બાળકો વાંચનની સાથે ગ્રહણ પણ કરે છે. તો શાળાના શિક્ષકગણ અને સ્ટાફને પણ વાંચવા માટે પ્રેરણા મળે અને વાંચનમાં રુચિ વધે તેવા આશયથી આ શાળાના સ્ટાફ માટે અલગથી પુસ્તકાલયની સુવિધા કરવામાં આવી છે. શિક્ષકો અને વાલીઓ વાંચતા થશે તો જ બાળકોને તે માટે પ્રેરણા આપી શકશે.’
બે લાખ રૂપિયાના પુસ્તકોનું વેચાણ
આ વર્ષે યોજવામાં આવેલા પુસ્તકમેળામાં બે લાખ રૂપિયાના પુસ્તકોનું વેચાણ થયું છે. જેના પરથી કહી શકાય કે સોશિયલ મીડિયાના યુગમાં ગમે એટલી પ્રગતિ થાય પરંતુ ગુજરાતીઓના વાંચન પ્રેમને કોઇ ઓછો નહીં કરી શકે. તેમાં પણ જ્યારે વાત પુસ્તક વાંચવાની હોય તો હાથમાં મોબાઇલ નહીં પરંતુ બુક જ જોવા મળશે.
બુક કોર્નર
એક નવતર પ્રયોગ રૃપે શાળામાં બુક કોર્નર શરૃ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ શહેરીજનો વિદ્યાર્થીઓ અને વાલીઓ બારેમાસ કરી શકે છે. વિદ્યાર્થીના જન્મદિવસની ઉજવણી પેન્સિલ, ચોકલેટ કે કોઈ વસ્તુ આપીને કરતા હોય છે. ત્યારે આ શાળામાં બુક કોર્નરમાંથી બુક ખરીદવા માટે બાળકોને પ્રેરિત કરવામાં આવે છે.