ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ હાલ રાજકારણમાં ઘણો ગરમાવો જોવા મળી રહ્યો છે. ઓબીસી મંચના નેતા અલ્પેશ ઠાકોરના કોંગ્રેસનો ખેસ પહેરાવ્યા બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલની કોંગેસમાં જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે હાર્દિક પટેલે આરક્ષણની ગુગલી આપતા કોંગેસને અલ્ટીમેટમ આપ્યું છે.
હાર્દિક પટેલે શનિવારે ટ્વીટ દ્વારા ચેતવણી આપતા કહ્યું, કોંગ્રેસ આગામી ૩ નવેમ્બર સુધી પાટીદારોને તેમના બંધારણીય અનામતના બાબતે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરે તેમજ તે જણાવે કે બંધારણીય અનામત કેવી રીતે આપશે?
હાર્દિકે આ બાબતે ચેતવણી આપતા કહ્યું, કોંગ્રેસ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે નહિ તો સુરતમાં અમિત શાહ જેવો મામલો થશે. મહત્વનું છે કે, સુરતમાં અમિત શાહની રેલીમાં પાટીદારોએ ઉગ્ર બોલાચાલી કરી હતી તેમજ તોડફોડ પણ કરી હતી.