@ચિરાગ પંચાલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ
ગુજરાતના છ મહાનગરોમાં ફરી એક વાર ભાજપ છવાઇ ગયુ છે. અને દર વખતી જેમ કોંગ્રેસના સૂપડાં આ વખતે તો એકદમ સાફ થઇ ગયા છે. તો સાથે આપ જેવી પાર્ટીનો ત્રીજો વિકલ્પ પણ લોકો સામે આવ્યો છે. અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, ભાવનગર, હોય કે જામનગર કોંગ્રેસનું પ્રદર્શન કંગાળ રહયુ છે. સુરતમાં આમ આદમીના ઝાડું એ કોંગ્રેસની સફાઇ કરી નાખી છે.
મહાનગરોમાં ચાલી ‘ભાજપ’ની લહેર
‘આપ’ની ગુજરાતમાં પડી એન્ટ્રી
મહાનગરપાલિકાના મહાસંગ્રામમાં છ મહાનગરોમાં ભાજપ છવાઇ ગયું છે. જો કે આમ તો પહેલાંથી જ શહેરવિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ રહયુ છે. તેના પર આ ચૂંટણીઓના પરિણામ પછી તો જાણે કે મહોર વાગી ગઇ છે. ઠેર ઠેર નિકળેલા આ વિજય સરઘસો ભાજપની ભવ્ય જીતની નિશાની છે. લગભગ તમામ મહાનગરોમાં જેવું ભાજપ કહેતું હતું. તેવી રીતે છ મહાનગરોમાં પરિવર્તન નહી પણ ભગવાનું પુનરાવર્તન થયું છે. તો બીજી તરફ ફરી એક વાર કોંગ્રેસનો તમામ સ્થળે કચ્ચરઘાણ વળી ગયો છે. રાજકોટ જેવા શહેરમાં જે કોંગ્રેસ ગત વખતની ચૂંટણીમાં ૩૪ બેઠકો જીતી હતી. આ વખતે મત ગણતરીના છ કલાક સુધી ત્યાં કોંગ્રેસ ખાતું ખોલાવી શકી ન હતી.
આજ પરિણામો બતાવે છે કે, કોંગ્રેસનું કંગાળ મેનેજમેન્ટ તેના માટે જવાબદાર છે. વડોદરા હોય સુરત કે પછી ભાવનગર હોય કે જામનગર કે રાજકોટ તમામ મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ પર મતદારોનું સ્ટીમરોલર ફરી વળ્યુ છે. છ મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસનું સૌથી કંગાળજનક પરિણામ જોવા મળ્યુ છે. દરવખતની જેમ આ વખતની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસની નેતાગીરી ફેલ રહી છે.
નામકરણ / મોટેરા સ્ટેડીયમ હવે ઓળખાશે આ નામ થી…
અનેક સ્થળે પર તો દશા એવી રહી છે કે કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ થઇ ગઇ છે. જો કે મહાનગરપાલિકાની આ ચૂંટણીઓમાં સૌથી મોટી વાત તો એ રહી છે કે, ગુજરાતના લોકો માટે ચૂંટણીઓમાં ત્રીજો વિકલ્પ સામે આવ્યો છે. અને તે વિકલ્પ છે કેજરીવાલની ‘આમ આદમી પાર્ટી’. કારણ કે આમ આદમી પાર્ટીએ સુરતમાં જબરજસ્ત પ્રદર્શન કર્યુ છે. સુરતમાં આપનું ઝાડું એવું ચાલ્યુ કે તેણે ભાજપના બદલે કોંગ્રેસનો સફાયો કરી દીધો.
ખાસ કરીને સુરતમાં પાટીદારોના મત અંકે કરવા કોંગ્રેસે હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યો હતો. પણ હાર્દિકને બદલે સુરતમાં આપનો જાદૂ ચાલી ગયો. અને કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ ગઇ. મોટાભાગના સ્થળોની જેમ સુરતમાં ભાજપ અને કોંગ્રેસને બદલે આ વખતની ચૂંટણીમાં ભાજપ સામે આપની ટક્કર જોવા મળી.
Political / છ મનપાની બોડીની રચના આ તારીખ પછી થશે : બાવળામાં CM રૂપાણીની જાહેરાત
જો કે ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે અગાઉ જૂના જોગીઓ જેવાકે શંકરસિંહ વાઘેલા, કેશુભાઇ પટેલ.,અને ગોરધન ઝડફિયા જેવા નેતાઓ મતદારોને મનાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. પણ ગુજરાતમાં પહેલીવાર મોટી સંખ્યામાં ઉમેદવારોને મેદાનમાં ઉતારીને આમ આદમી પાર્ટીએ ગુજરાતના લોકો માટે ત્રીજો વિકલ્પ પેદા કરી દીધો છે. રાજકીય નિષ્ણાંતોના મતે રાજકીય સમીકરણો જે પણ હોય પણ આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રીએ સૌના ગણિત ફેરવી નાખ્યા છે.
મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ખાસ કરીને કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે. કોંગ્રેસને સુરતમાં આપ નડ્યુ તો જામનગરમાં બસપાએ ગણીત બગાડયુ. અને અમદાવાદ જેવા શહેરમાં એઆઇએમઆઇએમ એ કોંગ્રેસનો ખેલ બગાડ્યો છે. માંડ માંડ ગુજરાતમાં ડૂસકા મારતી કોંગ્રેસ પરિણામોથી તો જાણે કે ભાંગી જ પડી છે. જો તેના માટે કોંગ્રેસની નેતાગીરી અને સ્થાનિક મેનેજમેન્ટ જેવા કારણો પણ જવાબદાર છે. તેની સામે ભાજપની વિરાટ સફળતામાં બૂથ મેનેજમેન્ટ સુધીની ગણતરીઓથી લઇને. સ્થાનિક સ્તરે પ્રચાર પ્રસાર સહીત કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે.
Rejected / કોંગ્રેસને સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક ઝટકો, હવે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી
મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવી લીધી છે. તો કોંગ્રેસને પચાસ બેઠકો મેળવવામાં પણ ફાંફાં પડી ગયા છે. બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટીનો જલવો જોવા મળ્યો છે. તો અમદાવાદમાં ઓૈવેસીની પાર્ટીએ પણ ખાતુ ખોલાવ્યુ છે. ઓવરઓલ સ્થિતીની વાત કરીએ તો ભાજપ આ વખતે પણ મોટા પક્ષ તરીકે સામે આવ્યો છે. બીજી બાજું આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટીથી કોંગ્રેસને જબરજસ્ત ફટકો પડ્યો છે. હવે પક્ષને તેના માટે મંથન કરવાની નહી પણ જબરજસ્ત રણનિતી સાથે મેદાનમાં ઉતરવાની જરૂર છે. જીત મંથન કરવાથી નહી પણ ચૂસ્ત ચૂંટણી મેનેજમેન્ટ કરવાથી મળે છે.