છોટાઉદેપુર જિલ્લા ભારે વરસાદ વરસ્યો અને ખાસ કરીને ઈતિહાસ માં સૌ પ્રથમ વખત બોડેલીમાં 22 ઈંચ ઉપરાંત એટલે કે દર વર્ષે મોસમમાં એવરેજ 35 થી 45 ઈંચ નોંધાતા વરસાદનો અડધો વરસાદ માત્ર 24 કલાકમાં ખાબકયો હતો જેનાં કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને હવે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે વરસાદના પાણી ઓસર્યા બાદ નુકશાનીના દૃશ્યો સામે આવી રહ્યા છે જેમા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઊભા પાકને ભારે નુકસાન થતાં જગતના તાત ને ફરી રડવાનો વારો આવ્યો છે. બોડેલીમાં
વધુ વિગત અનુસાર કોરોના મહામારી,કમોસમી વરસાદમાં થયેલા નુકસાન બાદ હવે ખેડૂતો માંડ માંડ બહાર આવી રહ્યા હતા વરસાદે રોદ્ર રૂપ ધારણ કરી વિનાશ વેરતા ફરી એક વખત ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદથી છોટાઉદેપુર જીલ્લામાં કેળની ખેતી કરતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુરમાં ખાસ કરીને બોડેલી તેમજ સંખેડા તાલુકામાં કેળની ખેતી વધારે કરવામાં આવે છે. જિલ્લામાં આ વખતે 6 થી 7 હજાર હેક્ટરનો પાક ખેડૂતોએ કર્યો છે. જેમાં બોડેલી તાલુકાના માકણી ,જબૂગામ ચલામલી સહિત વિસ્તારોમાં કેળની ખેતીમાં ભારે નુકશાન ખેતરોમાં પાણી ધુસી જતાં કપાસના પાકને પણ નુકશાન થયું છે. તેમજ સંખેડાના માહિપુરા આંબાપુરા, ફાજલપુરા વડેલી સહિતના ગામોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે કેળનો ઊભો પાક ધોવાઈ જવાથી ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે.
કેટલાય ખેડૂતોનાં ખેતરમાં કેળનાં તમામ છોડ નમી પડયા હોય ત્યારે તૈયાર થયેલ મોઢામાં આવેલ કોળિયો ખેડૂતો છીનવાયો હોય એવું લાગી રહ્યું છે. ખેતીમાં કરેલ ખર્ચ માથે પડ્યો. કેળની ખેતી બાગાયતી ખેતી ગણાય છે જેના કારણે નુકસાનીનું વળતળ આપવામાં આવતુ નથી પરંતુ આકાસી આફતને લઈ થયેલ નુકશાનીનું વળતર આપવામાં આવે તેવી ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે. આ વર્ષે ભાવ સારો છે પરંતુ વરસાદે વેરેલા વિનાશને લઈ જગતના તાતને આજે રડવાનો વારો આવ્યો છે. સરકાર સહાય આપે તો ખેડૂત ફરી બેઠો થાય તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.
સારો વરસાદ થતાં સારી ખેતીની આશાએ કેટલાક ખેડૂતોએ ક્રોપ લોન લઈ ખેતી કરી અને ઉત્પાદન લઈ ક્રોપ લોનની ભારપાઈ કરીશું પરંતુ હાલ થયેલા નુકસાનને લઈ ક્રોપ લોન ભરપાઈ કરવી મુશ્કેલ થઈ પડી છે. આ કુદરતી આફત છે જો સરકાર અમને વળતર આપે તો નવી ખેતી અમો કરી શકીએ બોડેલીની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ આકાશી નજારો જોયો હતો તેમાં અમારી ખેતીનું નુકસાન પણ તેમણે જોયું હશે કે અમારા વિસ્તાર માં કેટલું નુકસાન થયું છે. તે તેમણે ધ્યાને લઈ અમને સહાય આપવા મહેરબાની કરે તેમ જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે.
જબૂગામ વિસ્તાર માજ 300 હેક્ટર જેટલી જમીનમાં કેળની ખેતી કરવામાં આવી રહી છે અને તેમાં કેટલાય ખેતરોમાં 40 થી 50 % જેટલું કેળના પાકમાં નુકસાન થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે. હાલ છોટાઉદેપુર જિલ્લામાં ડ્રોન કેમેરાથી થી કેટલું નુકસાન થયાનો સર્વે જિલ્લા ખેતીવાડી તેમજ બાગાયત વિભાગ તરફથી કરવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર પાસે સહાય ની આશ રાખીને બેઠેલા અને આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા ખેડૂતોને સર્વે કરાયા બાદ કેટલી અને કેટલા સમયમાં સહાય આપે છે.
અમે લોન લઈને ખેતી કરનાર છીએ, જો સરકાર સહાય કરશે તો ઉગરી શકીશું : ભાસ્કર ભાઇ પટેલ(ખેડુત)
અમે ક્રોપ લોન લઇ ખેતી કરી હતી સારો પાક થતા ક્રોપ લોન ચુકવી દઇશુ તેવી આશા હતી પરંતુ હવે ખેતી મા ભારે નુકસાન થતા ક્રોપ લોન કેવી રીતે ચુકવશુ તેની ચિંતા સતાવી રહી છે બોડેલી અસરગ્રસ્ત વિસ્તાર ની મુલાકાતે આવેલા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે હવાઇ નિરીક્ષણ નિરીક્ષણ કર્યુ ત્યારે અમને થયેલા નુકસાન પર પણ નજર ગઇ હશે.
કેળમાં મોટું નુકસાન થયું છે અમને સરકારની મદદની જરૂર છે: હેમંત પટેલ (ખેડુત માકણી ગામ)
બોડેલી પંથકમાં પહેલી વખત આવો વરસાદ જોયો છે અમારા વિસ્તાર ના દરેક ખેડુતો ની કેળો પાણીમા બેસી ગઇ છે આ બાગાયત ખેતી હોય સરકાર નુકસાની ના આપી શકે પરંતુ જો સરકાર દ્વારા અમને સહાય આપવામાં આવે તો ખેડુત પાછો બેઠો થાય.
આ પણ વાંચો : ગંભીર સમસ્યા : અમદાવાદ સ્માર્ટસિટી કે ભૂવાનગરી?