ગુજરાત,
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે હજારો લોકો બેઘર બન્યા છે. 22 લોકો મોતને ભેટ્યા છે. તથા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
ત્યારે સૌરાષ્ટ્રમાંથી આવતા મુખ્યમંત્રી રૂપાણી પોતાની કહેવાતી ત્રીજી આંખ એટલે કે સીએમ ડેશબોર્ડના માધ્યમથી વરસાદની સમીક્ષા કરવાને બદલે અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાની સમીક્ષા કરવામાં વધુ વ્યસ્ત લાગી રહ્યા છે અને તેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જનતામાં મુખ્યમંત્રી પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે.
વસલાડ જિલ્લામાં આવેલા મધુબન ડેમમાં વરસાદને કારણે નવા નીરની આવક ચાલુ જ છે. ડેમમાં હાલ 26,698 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલમાં ડેમના પાંચ દરવાજા 2.20 મીટર સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યુ છે. ડેમમાંથી 40,849 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ગિરનાર જંગલમાં વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. જૂનાગઢને પીવાનું પાણી પુરૂ પડતા વીલીંગ્ડન ડેમમાં કાલે 4 ફૂટ પાણી આવ્યું હતું. પરંતુ રાતે પડેલા ભારે વરસાદના કારણે સવાર સુધીમાં વીંલીગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો.
આ ઉપરાંત માળિયામાં સવારે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડી ગયો હતો. વિસાવદર, ભેંસાણમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ કોડિનાર 8 ઈંચ, ગણદેવી 7.13 ઈંચ, ચિખલી 7.8 ઈંચ, વડિયા 7.4 ઈંચ, વાંસદા 6.14 ઈંચ, બગસરા 6.9 ઈંચ, જલાલપોર અને ખેરગામ 6.9 ઈંચ ખાબક્યો છે.