સોમવારે ભારે વરસાદના લીધે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં તબાહી સર્જાઇ હતી કાંગરા જિલ્લાના શાહપુર વિધાનસભા મત વિસ્તારની વોહ વેલીમાં વરસાદને કારણે છ જેટલા મકાનો પાણીમાં તણાઇ ગયા હતા હજુ સુધી 12 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાની ઓળખ મસ્તો દેવી પત્ની ભીમો રામ તરીકે થઈ છે. કેટલાક લોકોને ઘરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે.
વોહ વેલી નદીના કાંઠે આવેલા લોકોના મકાનોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે કેટલાક ગૌશાળાઓ પણ ધરાશાયી થઇ ગઇ છે. ડીસી કાંગરા નિપુન જિંદલના આદેશ બાદ એનડીઆરએફની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. વોહ તરફ જવાનો રસ્તો પણ ભૂસ્ખલનને કારણે બંધ કરવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હિમાચલમાં ભારે વરસાદને કારણે ઉદભવેલી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હું વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકોની સલામતી માટે પ્રાર્થના કરું છું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને માહિતી આપી છે કે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી કુદરતી આફત અંગે મેં મુખ્યમંત્રી જય રામ ઠાકુર સાથે વાત કરી છે. રાહત કાર્ય માટે એનડીઆરએફ ટીમો ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહી છે. ગૃહ મંત્રાલય સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હિમાચલને કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાય આપવામાં આવશે.