કોરોનાનાં કેસ ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. રાજ્યમાં 28 જૂનના રોજ કોરોનાના નવા 475 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. જેમાં સૌથી વધારે 211 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 2793 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં પાછલા 4 દિવસમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાયો છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં સારવાર બાદ વધુ દર્દી સાજા થયા છે..ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 લાખ 14 હજારથી વધારે દર્દીઓ કોરોના સામે જંગ જીતી ચુક્યા છે. જ્યારે 10,964 લોકોના કોરોનાથી નિધન થયા છે. રાજ્યમાં પાછલા 15 દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે ત્યારે અમદાવાદમાં ગઈ કાલ કરતા લગભગ બમણા કેસો નોંધાયા છે. તંત્રની ચિંતા વધી સાથે સાથે આઈઆઈટી કાનપુરનાં પ્રોફેસર દ્વારા જુનનાં અંતમાં કોરોનાની ચોથી લહેર અંગેની કરવામાં આવેલી આગાહી સાચી પડતી જણાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ
ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા છ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા છ દિવસોમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે. આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ થયુ છે. AMC તરફથી શહેરીજનોને માસ્ક ફરી ફરજીયાત કરવા સૂચના આપી છે. હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે.
આ પણ વાંચો : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું, જાણો ક્યાં છે વરસાદની અપેક્ષા