ગરમીથી તૌબા પોકારી ચુકેલી દેશની જનતા માટે વરસાદ ક્યારે અને કેવો રહેશે માહિતી સામે આવી છે. હવામાન સંબંધિત પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે આગાહી આપી છે કે, 4 જૂન સુધી કેરળમાં વરસાદ પહોંચી જશે. આગાહી મુજબ શરૂઆતમાં ચોમાસુ થોડું નબળુ રહેશે. સ્કાયમેટનાં અનુમાન મુજબ આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતા ઓછું 91 ટકા રહેવાની શક્યતા છે. જ્યારે ઓછા વરસાદની સંભાવના 50 ટકા અને દુષ્કાળની સંભાવના માત્ર 20 ટકા છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજયમાં લોકોએ સખત ગરમીને કારણે ત્રાહિમામ પોકાર્યો હતો. ચોમાસુ ક્યારે આવશે તેની લોકો રાહ જોઇ રહ્યા છે. ત્યારે સ્કાયમેટનાં એમડી જતિનસિંહનું માનીએ તો આ વર્ષે દેશનાં ચારેય ક્ષેત્રમાં ચોમાસાનું નબળું પ્રદર્શન જોવા મળી શકે છે. ખાસ કરીને પૂર્વ, પૂર્વોત્તર અને મધ્ય ભારતમાં ઓછા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ચોમાસું સિઝન દરમિયાન સામાન્યથી ખૂબ જ વધારે વરસાદની સંભાવના 2 ટકા છે. જ્યારે સામાન્યથી વધારે વરસાદની 10 ટકા સંભાવના છે. આ ઉપરાંત સામાન્ય વરસાદ એટલે કે 96થી 100 ટકા વરસાદની સંભાવના 39 ટકા રહેલી છે. સામન્ય કે સામાન્યથી વધારે વરસાદની સંભાવના 50 ટકાથી વધારે છે.