@સંકેત પટેલ, અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં શામળાજી, માલપુર, મેઘરજ, મોડાસા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન ખાતાની આગાહી બાદ અરવલ્લી જીલ્લામાં ગત મોડી સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જીલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી પંથકમાં ગાજવીજ અને વાવાજોડા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં વિસ્તારમાં મગફળી મકાઈ સહિતના પાકોને વ્યાપક નુકશાન થયું છે. જેના પગલે ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા શામળાજી પંથકમાં ઓચિંતા આવેલા વાવાજોડા સાથેના વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લેતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ગત મોડી રાત્રી દરમિયાન વાતાવરણમાં આવેલા પલટા બાદ શામળાજી પંથકના વેણપુર, શામળપુર, ખારી, ખેરંચા, રંગપુર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ખેડૂતોએ પોતાના ખેતરોમાં સુકાવવા મુકેલો મગફળી, મકાઈ સહિતના પાકો પલળી જતા ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
ખેડૂતોએ ચાલુ ખરીફ સીજનમાં કુલ ૨ લાખ હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર કર્યું છે. જે પૈકી જે પૈકી ભિલોડા તાલુકામાં ૭૧૫૫ હેકટર જમીનમાં મગફળી, ૧૦૪૩૪ હેકટરમાં મકાઈ, ૪૨૩ હેકટરમાં કપાસ, અડદ સહીતના પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે ઓચિંતા આવેલા વરસાદે ખેડૂતોના પાકને ભીંજાવી દેતાં પાક ઘાસચારામાં પણ કામ લાગે તેવો રહ્યો નથી. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર અપાય તેવી માંગણી કરી રહ્યા છે.