ધાર્મિક માન્યતા સાથે આપણી લાગણીઓ પણ જોડાયેલી હોય છે. સુરત શહેરમાં એક એવું મંદીર આવેલુ છે કે જ્યા ભલભલા ડોકટરો હારી જાય છે ત્યારે ભગવાન શિવની શરણમાં આવતા લોકોના દર્દ દૂર થાય છે. સામાન્ય રીતે ભગવાન પાસે ચાલતા જવાની કે કે ઘુંટણિયે પડીને જવાની અથવા તો કોઈક કીમતી વસ્તુ ચઢાવવાની બાધા માનતા લેવામાં આવતી હોય છે. પરંતુ સુરતનાં ઉમરા ગામમાં આવેલા રામનાથઘેલા મંદીરમાં પોતાના દર્દ દૂર થતા અનોખી બાધા રાખે છે. અહી લોકો ભગવાન શિવજીને અર્પણ કરે છે જીવતા કરચલા. તો આવો જાણીયે કે આ પ્રકારની અનોખી બાધા રાખવા પાછળનું કારણ અને ધાર્મિક મહત્વ શું છે..?
સુરતનાં ઉમરા ગામ પાસે રામનાથઘેલા મંદીર આવેલું છે. અહી મંદીરની બહાર વેચાઈ રહ્યા છે જીવતા કરચલા. જી હા પાણીમાં રહેતા આ જીવ મંદીરની બહાર વેચાઈ રહ્યા છે. તમને નવાઈ લાગતી હશે કારણ કે મંદીરની બહાર આ પ્રકારે મચ્છી બજાર હોતુ નથી. પરંતુ આપને જણાવી દઈએ કે આજના દીવસે એટલે કે પોષ વદ અગિયારસનાં દીવસે રામનાથઘેલા મંદીરની બહાર કરચલા વેચવામાં આવે છે. લોકો પોષ વદ અગિયારસનાં દીવસે ભગવાન શિવજીને જીવતા કરચલા ચઢાવવાની બાધા રાખે છે. જે લોકોને કાન અને ગળાને લગતી બિમારી થઈ હોય અને ડોક્ટરોનાં ધક્કા ખાઈને થાકી ગયા હોય એવા લોકો અહી રામનાથઘેલા શિવજીની શરણમાં આવે છે અને તેમનુ દર્દ દૂર થાય તો ભગવાનને જીવતા કરચલે ચઢાવવાની બાધા રાખે છે. દર વર્ષે અહી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે અને શંભુમેળાનો માહોલ ઉમરા ગામમાં સર્જાય છે.
તાપી નદી કિનારે આવેલુ રામનાથઘેલા મંદીર પાછળ વર્ષો જુનો ઈતિહાસ છે. તાપી પુરાણમાં જણાવ્યા મુજબ ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેઓ હીદંબ્બા વન તરીકે ઓળખાતી સુરતની આ ભૂમિ પરથી પસાર થઈ રહ્યા હતા. આ જગ્યા પર ભગવાન શ્રીરામને તેમના પિતા દશરથનાં અવસાનની જાણ થઈ હતી. તાપીનદીનાં કિનારે ભગવાનશ્રીરામે શિવજીની સ્થાપના કરી હતી અને તેમના પિતા દશરથની તર્પણ વિધી કરી હતી. નદી કિનારે શિવલિંગની સ્થાપના કરી હતી અને શિવજીનુ નામ રામનાથઘેલા પડ્યુ હતુ. તે સમયે અસંખ્યા કરચલાઓ શિવલીંગને વિંટળાઈ વળ્યા હતા. ત્યારથી માન્યતા શરૂ થઈ કે રામનાથઘેલાને કરચલાઓ ઘણાં પ્રિય છે. બસ ત્યારથી દુખી લોકો રામનાથઘેલા ની બાધા માનતા રાખે છે અને તમના દુખ દૂર થતા તેઓ શિવજીને કરચલા અર્પણ કરે છે.
ધાર્મિક માન્યતા પ્રમાણે રામજીના પ્રિય રામનાથઘેલા લોકોના દુખ દર્દ દૂર કરી રહ્યા છે. વર્ષોથી લોકો અહી આવે છે અને તેમની બાધા પુરી કરવા કરચલાઓ અર્પણ કરે છે. પોષ વદ અગિયારસનાં દીવસે ઉમરા ગામે રામનાથઘેલા શિવ મંદીરમાં મેળો જામે છે. ભગવાનને અર્પણ કરવામાં આવતા આ જીવતા કરચલાઓ મધરાત બાદ તાપી નદીમાં આવતી ભરતીનાં પાણીમાં છોડી મુકવામાં આવે છે. સદીઓથી આ જ પરંપરા ચાલી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.