કર્ણાટક હાઈકોર્ટે શુક્રવારે હિજાબ કેસમાં સુનાવણી પૂર્ણ કરી અને પોતાનો આદેશ અનામત રાખ્યો. મુખ્ય ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થીએ કહ્યું, “સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે, આદેશ અનામત છે.” આ સાથે કોર્ટે અરજદારોને લેખિત દલીલો (જો કોઈ હોય તો) આપવા પણ કહ્યું હતું.
ચીફ જસ્ટિસ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ જે. એમ. કાઝીની બેન્ચની રચના 9 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી અને તે રોજ-બ-રોજ સંબંધિત અરજીઓની સુનાવણી કરે છે. કેટલીક છોકરીઓએ અરજીઓમાં કહ્યું હતું કે જે શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફોર્મ હોય ત્યાં તેમને હિજાબ પહેરવાની છૂટ આપવી જોઈએ
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં ઉડુપીની એક પ્રી-યુનિવર્સિટી કોલેજમાં ડ્રેસ કોડના ઉલ્લંઘન માટે કેટલીક છોકરીઓને ક્લાસરૂમમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. હિજાબના કારણે પ્રવેશ નકારવામાં આવેલી છ છોકરીઓએ 1 જાન્યુઆરીએ કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CPI) દ્વારા પ્રવેશ પરના પ્રતિબંધ વિરુદ્ધ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ પછી વિદ્યાર્થીઓએ વિરોધમાં કેસરી શાલ પહેરવાનું શરૂ કર્યું.
તેના વચગાળાના આદેશમાં, બેન્ચે સરકારને આંદોલનથી પ્રભાવિત શૈક્ષણિક સંસ્થાઓને ફરીથી ખોલવા અને કોર્ટ દ્વારા અંતિમ આદેશ જારી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રતીકો પહેરવા પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું હતું.
એક કૉલેજના પ્રિન્સિપાલે કહ્યું, “હિજાબ પહેરવા અંગે કોઈ સંસ્થાનો નિયમ નથી, કારણ કે છેલ્લા 35 વર્ષોમાં કોઈ પણ વિદ્યાર્થિનીએ તેને ક્લાસરૂમમાં પહેર્યો ન હતો. જે વિદ્યાર્થીનીઓ માંગ કરી રહી હતી તેમને બહારના દળોએ સમર્થન આપ્યું હતું.”