Gandhinagar News: ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે ગૃહપ્રધાન અમિત શાહે (Amit shah) પણ મોરચો સંભાળ્યા છે. તેમણે તેમના મતવિસ્તાર ગાંધીનગર લોકસભાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ગાંધીનગરના તંત્રને તેમણે આ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મચ્છરો ન ફેલાય અને લોકોનું આરોગ્ય કથળે નહીં તે માટે ફોગિંગ અને દવાના છંટકાવને લઈને સૂચના આપી હતી.
તેમણે વરસાદના લીધે સર્જાયેલી સ્થિતિના મુદ્દે ગાંધીનગર અને અમદાવાદના કલેક્ટર સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે મ્યુનિસિપલ કમિશ્નર સાથે પણ વાતચીત કરી હતી. તેઓ આગામી સમયમાં ગુજરાતના પ્રવાસે આવે તો પણ આશ્ચર્ય નહીં થાય. ગુજરાતમાં પડેલા ભારે વરસાદના લીધે નોંધપાત્ર પ્રમાણમાં તારાજી સર્જાઈ છે.
તેમણે આદેશ આપ્યો છે કે ગુજરાતમાં જ્યાં પણ ભારે તારાજી છે ત્યાં તંત્ર યુદ્ધના ધોરણે કામ કરે. માળખાકીય સગવડોને પૂર્વવત્ કરવા માટે તાકીદના ધોરણે કામ કરવામાં આવે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટોથી લઈને તબીબી સગવડ યુદ્ધના ધોરણે પૂરી પાડવામાં આવે. પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારોમાં સોસાયટીઓને પાણી કાઢવામાં મદદ કરવામાં આવે. જરૂર પડે ત્યાં પાણી કાઢવા માટેના મશીનોની મદદ લેવામાં આવે.
આમ વડાપ્રધાન મોદી (PM Modi) ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં વરસાદના લીધે સર્જાયેલી પૂરની સ્થિતિ અને તેને પહોંચી વળવા માટેના સરકારી બંદોબસ્ત પર ચાંપતી નજર રાખી રહ્યા છે. કેન્દ્ર સરકારે હવાઈદળની ટુકડી પણ મદદ માટે મોકલી છે. તેની સાથે જરૂર પડે તો એનડીઆરએફ (NDRF) ની વધુ ટીમો મદદ માટે મોકલવાની તૈયારી દાખવી છે.
આ પણ વાંચો: પીએમ મોદી પછી અમિત શાહ ગુજરાતમાં વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે
આ પણ વાંચો: મણિપુર મુદ્દે ચર્ચાથી કેમ ભાગે છે વિપક્ષઃ અમિત શાહ
આ પણ વાંચો: વિરોધીઓ પર ગરજ્યા અમિત શાહઃ કોંગ્રેસ દેશમાંથી અને કમ્યુનિસ્ટો દુનિયામાંથી ખતમ થયા
