ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી લાઇન ઓફ કંટ્રોલ પર યુદ્ધવિરામની વાત આવતાં સૌને આશ્ચર્ય થયુ છે. પણ વાત સાચી છે કે બંને દેશો વચ્ચે ડીજીએમઓ લેવલની વાતચીત પછી આ જાહેરાત થઇ છે. જો કે મોડે મોડે પણ આખરે કાશ્મીરની ઘાટીમાં હવે શાંતિની વાર્તા આગળ વધી છે. પણ સવાલ ત્યાંને ત્યાં ઉભો છે કે પાકિસ્તાનની આ યુદ્ધવિરામની વાત પર કેટલો ભરોસો મુકવો.?
વર્ષ ૧૯૪૭માં એક દેશ વહેચાયો અને બે વિસ્તાર બન્યા. અને થોડા જ સમયમાં બંને વચ્ચે યુદ્ધ છેડાઇ ગયું. તે પછી યુનાઇટેડ નેસન્સે યુદ્ધવિરામ કરાવડાવ્યું. જંગના આ મોરચાની લાઇન યુદ્ધ વિરામની લાઇન બની ગઇ. અને પછી તે જ બની ગઇ નિંયત્રણ રેખા એટલે કે લાઇન ઓફ કંટ્રોલ. આ લાઇન મેદાનોમાં, પહાડોમાં, બર્ફિલા પહાડોમાંથી પસાર થાય છે. લાખો જવાન સેંકડો કિલોમીટર લાંબી લાઇનની ચોકી કરે છે. દરેક કલાકે વર્ષ ભર જમીન પર અને આકાશમાંથી પણ સરહદો પર નજર રાખવાનું કામ દિવસ રાત ચાલતું રહે છે. અને નજર રાખનારા જવાનોને બે ઘડીનો પણ આરામ મળતો નથી. કારણ કે સરહદ પર સતત ઘૂસણખોરી અને પાકિસ્તાન આર્મી ગમે ત્યારે નજર ચૂકવીને પીઠમાં ખંજર ભોંકવા માટે તૈયાર હોય છે. આમતો એલઓસી પર ભાગ્યે જ કોઇ દિવસ કે રાત એવી ખાલી જતી હશે. જ્યારે સરહદને પેલેપારથી અંધાધૂંધ ફાયરીંગ ન થયુ હોય.
છેલ્લા કેટલાય વર્ષોથી આ સિલસિલો ચાલતો આવ્યો છે. પણ હવે અચાનક એલઓસી પર યુદ્ધવિરામ પર સહમતિની વાત સામે આવી છે. ભારત અને પાકિસ્તાનની સેનાઓ તરફથી સંયુક્ત ઘોષણાપત્રના રૂપમાં ગુરૂવારે આવેલી આ ખબર સૌ કોઇને ચોંકાવી ગઇ કે બંને પક્ષો એલઓસી પર યુદ્ધવિરામની સમજૂતિને કડકાઇથી પાલન કરવા માટે તૈયાર થઇ ગયા છે.
બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની સમજૂતિ ૨૦૦૩માં થઇ હતી. અને તેનું પાલન પણ થઇ રહયુ હતું. પણ ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામાં હૂમલા પછી હાલત બદલાઇ ગઇ. અને પછી યુદ્ધવિરામની સંધિ જાણે કે બેઇમાની થઇ ગઇ. કેન્દ્રીય ગૃહરાજયમંત્રી કિશન રેડ્ડીએ કેટલાક દિવસો પહેલાંજ લોકસભામાં જણાવ્યુ હતુ કે પાછલા ત્રણ વર્ષોમાં એલઓસી પર યુદ્ધવિરામ ઉલ્લંઘનની ૧૦૭પ૨ ઘટનાઓ નોંધાઇ છે. જેમાં ૭૨ સુરક્ષાકર્મીઓ અને ૭૦ સામાન્ય નાગરિકોના મોત થઇ ગયા છે.
નિશ્ચિત રીતે સીમા પર સતત તણાવની સ્થિતી બંને પક્ષો માટે નુકશાનદાયક હતી. અને ઘણા સમયથી આ જરૂરીયાત જણાતી હતી. કે પ્રત્યક્ષ રીતે નહી પણ પરોક્ષ વાતચીતના માધ્યમથી પણ સીમા પર તૈનાત બંને દેશોના સૈનિકો વચ્ચે ઓછામાં ઓછો વિશ્વાસ પેદા કરવામાં આવે. કારણ કે બંને તરફ જાનમાલના અનાવશ્યક નુકશાનથી બચી શકાય. જો કે સતાવાર રીતે આ મંજુરી ડીજીએમઓ લેવલની વાતચીતનું જ પરિણામ ગણાવાઇ રહયુ છે. પણ જાણકારો પ્રમાણે તેની બેકડોર ચેનલ મહિનાઓ સુધી ચાલેલી વાતચીત પછી શય બની છે. ક્યાંકને ક્યાંક આ તથ્યની ભૂમિકા તેમાં રહી કે બંને દેશોને પોતાની બીજી સીમાઓ પર પણ સતત ધ્યાન આપવું જરૂરી લાગી રહયુ હતું.
ભારત જ્યાં લદ્દાખ સરહદ પર ચીની સેનાની ગતિવિધીઓ પર નજર રાખી રહ્યુ હતું. તો પાકિસ્તાનની સામે અમેરીકી સેનાની વાપસીની ચર્ચા વચ્ચે અફઘાનિસ્તાનની સીમા પર પડકારો વધતા જઇ રહયા હતા. જો કે ભારત માટે ખરેખર આ રાહતની વાત છે જયાં ચીની સેના સાથે એક સ્તરની વાતચિત પછી કેટલા સ્થળો પર બંને દેશોની સેનાની વાપસી પ્રક્રિયા શરૂ થઇ છે. તો બીજી તરફ એલઓસી પર પણ શાંતિ સ્થાપિત થવાની સંભાવનાઓ જાગી છે. જો કે તેનો એવો મતલબ જરાય નથી કે બંને દેશો વચ્ચે વિવાદના કેન્દ્રો ઓછા થઇ ગયા છે. જેમ કે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે મહત્વપુર્ણ બાબતો પર અમારૂ સ્થાન અપરિવર્તિંત છે.
તેવામાં એ સવાલ પણ થયો જરૂરી છે કે આખરે આ સહમતિની ઉંમરને લઇને આટલા આશ્વત કેવી રીતે થઇ શકાય. શું ગેરંટી છે કે ફરી કોઇ આતંકી જૂથ કોઇ મોટો કાંડ કરીને આ સહમતિની ધજજીઓ ઉડાવીને હાલત નહી બનવા દે, એ વાત સ્પ્ષ્ટ છે કે, તેનો પોઝીટીવ જવાબ પાકીસ્તાન સરકારના આતંકી સંગઠનોના વિરૂદ્ધમાં એક મોટું એક્શન પણ થઇ શકે છે. અને ત્યારેજ આતંકી તત્વો પર લગામ લાગશે. અને તેઓ બંને દેશોના સંબંધો બગાડવાના તેના મનસુબાથી તોબા પોંકારશે.