સુરતઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે સુરતમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, માતા સીતા અને સેવક હનુમાનજીની વિશાળ પ્રતિકૃતિની રંગોળી (Sriram ni Rangoli) બનાવવામાં આવી છે. આ રંગોળી સુરતના કતારગામના કમ્યુનિટી હોલના આંગણામાં બનાવવામાં આવી છે.
સુરતની કલાર્પણ આર્ટ સંસ્થાના આગેવાન નયનાબેન કોટડિયાની આ પરિકલ્પનાને સુરતના મહેંદી કલ્ચરના ફાઉન્ડર નિમિષા પારેખ દ્વારા કલાકૃતિનો ઓપ આપવામાં આવ્યો હતો. નિમિષા પારેખના માર્ગદર્શન હેઠળ નયના કોટડિયા દ્વારા સંસ્થાની 40 જેટલી યુવતીઓની મદદથી ભગવાન શ્રીરામની ભવ્ય રંગોળી પ્રતિકૃતિ તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો. આ યુવતીઓ સવારના પાંચ વાગ્યાથી લાગી ગઈ હતી.
આ ઉપરાંત ભવ્ય રામમંદિર, રામસેતુ અને ભગવાન શ્રીરામે વીતાવેલા 14 વર્ષના વનવાસને પણ રંગોળીની થીમમાં આવરી લેવામાં આવ્યા હતા. આ રંગોળીમાં ભવ્ય રામમંદિર, ભગવાન શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સહિત હનુમાનજીની સાથે-સાથે રામસેતુની પ્રતિકૃતિને પણ આવરી લેવામાં આવી હતી. આ રંગોળી તૈયાર કરવામાં અંદાજે 16 કલાકનો સમય લાગ્યો હતો.
કલાર્પણ આર્ટ સંસ્થાના વડા નયના કોટડિયાના જણાવ્યા મુજબ 11,111 ચોરસ ફૂટ જગ્યામાં વિશાળ રંગોળી બનાવવામાં આવી તેમા 1,400 કિલો અલગ-અલગ રંગની રંગોળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મધ્યમાં ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ છે. જ્યારે તેમની ડાબી બાજુએ ચૌદ વર્ષના વનવાસની થીમ દર્શાવવામાં આવી છે. આ જ રીતે તેમની જમણી બાજુએ સેવક હનુમાનજીને દર્શાવવામાં આવ્યા છે.
ભગવાન શ્રીરામની થીમની બરોબર નીચે રામમંદિરની ભવ્ય પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. તેની નીચે રામસેતુની થીમને રંગોળીના જુદા-જુદા રંગથી ઓપ આપવામાં આવ્યુ છે. રામસેતુ બનાવવામાં વાનર સેનાના યોગદાનને યાદ કરતા શ્રીરામ લખેલા પથ્થરો જ લાગે તેવી આબેહૂબ રંગોળી કરી રામસેતુની પણ ભવ્ય પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ પ્રકારની ભવ્ય રંગોળી બનાવવા બદલ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં અયોધ્યા ન જઈ શકતા સુરતીઓ માટે આ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ