આજે પણ દેશની આર્થિક રાજધાની મુંબઈથી 50 કિમી દૂર એક એવું ગામ છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ નથી. થાણે જિલ્લાના ભિવંડીના પલટપાડા ગામનું અંતર મુંબઈથી માત્ર 50 કિલોમીટર દૂર છે. પલટપાડા (આદિવાસી બહુમતી)માં રહેતા બાળકો શાળાએ જવા માટે બોટની મદદથી તળાવ પાર કરે છે, કારણ કે અહીં કોઈ પાકો રસ્તો નથી. જ્યારે વરસાદ પડે છે, ત્યારે રસ્તા પરના પાણીના કારણે બાળકો જીવ જોખમમાં મુકીને તળાવ પાર કરે છે. આ બાળકોને વિનામૂલ્યે શાળાએ લઈ જવાનું કામ છેલ્લા બે વર્ષથી કાન્તા ચિંતામન કરી રહી છે. કાન્તા કહે છે કે તે આ એટલા માટે કરી રહી છે કારણ કે બાળકને શિક્ષણ મળે અને તે શાળાએ જવાનું ભુલે નહીં.
હું શાળાએ નથી ગઈ માટે શિક્ષણનું મહત્વ જાણું છુ
કાન્તાએ જણાવ્યું કે જે રોડ સ્કૂલ જવા માટે બનાવવામાં આવ્યો છે તેની હાલત ખૂબ જ ખરાબ છે અને તેના કારણે પાંચથી આઠ વર્ષના બાળકો સ્કૂલે જઈ શકતા નથી. તેને કહ્યું કે તે પોતે શિક્ષિત નથી, તેથી તે શિક્ષણનું મહત્વ જાણે છે. આ બોટ વડે તે ગ્રામજનોને પણ સારવાર માટે લઈ જાય છે. આરોગ્યની કટોકટી હોય ત્યારે કાન્તા ગ્રામજનોને મદદ કરે છે.
કાન્તા આગળ જણાવે છે કે તેણે પોતાનું ભણતર અધવચ્ચે જ છોડવું પડ્યું હતું, કારણ કે ગામથી શાળા લગભગ એક કલાક દૂર હતી અને એક કિલોમીટર લાંબું તળાવ પાર કરવાનું હતું. તે પછી મેં નક્કી કર્યુ કે આવુ બીજા કોઈ સાથે ન થાય, તેથી મેં શાળા છોડ્યાના પાંચ વર્ષ પછી બોટ ખરીદી.
ગ્રામજનો પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે
નોંધનીય છે કે પલટપાડા ગામમાં માત્ર 25 થી 30 પરિવારો જ રહે છે. ગ્રામજનોની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી અને માછીમારી છે. ભારતને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ ગામના બાળકોને તળાવ પાર કરીને શાળાએ જવું પડે છે. સારવાર માટે પણ ગામલોકો પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે, કારણ કે અહીં કોઈ રસ્તો નથી.