અમદાવાદ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંના એક બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટમાં જમીન સંપાદનને લઈ અનેક વિવાદો સામે આવી રહ્યા છે. પહેલેથી જ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન આપવાના મામલે ગુજરાત તેમજ મહારાષ્ટ્રના ખેડૂતો દ્વારા વળતર સહિતના મામલે સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો, ૮૫૦ હેક્ટર જમીનનું અધિગ્રહણ આઠ જિલ્લાઓમાં ફેલાયેલા ૫૦૦૦ ખેડૂતોના પરિવારો દ્વારા કરવામાં આવનાર છે, ત્યારે આ મામલે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
ગુરુવારે હાઈકોર્ટમાં ધરાયેલી સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળીને અંતિમ સુનાવણી ૧૨ ઓક્ટોબરના રોજ યોજવાનો આદેશ કર્યો છે.
આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને નેશનલ હાઇસ્પીડ રેલ્વે કોર્પોરેશનને નોટિસ ફટકારવામાં આવી છે. બીજી બાજુ વકીલ દ્વારા એફિડેવિટ અને વકાલતનામું મુકવા માટે વધુ સમય માંગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે હાઈકોર્ટમાં કરાયેલી પીટીશનમાં ૬૦થી વધુ અરજદારો છે. આ પહેલા બે મહિના પહેલા ૫ અરજી કરાઈ હતી.
આ ઉપરાંત ચોર્યાસી તાલુકામાંથી ૪ પીટીશન પરત ખેંચાઈ હતી, એની સામે હાઈકોર્ટમાં ૪૦ પીટીશન નવી કરાઈ હતી.
મહત્વનું છે કે, બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન આપવાના મામલે ખેડૂતો દ્વારા નવી જંત્રી અને બજાર ભાવ મુજબ વળતરની માંગ કરાઈ રહી છે. અગાઉ હાઈકોર્ટમાં ૧ હજાર ખેડૂતો એફિડેવીટ કરી ચુકયા છે.