દેશભરમાં 75માં પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર પોલીસે પુલવામાંથી IED જપ્ત કર્યું છે. જોકે, સુરક્ષા દળોની સમયસૂચકતાથી મોટી આતંકવાદી ઘટના ઘટતા અટકી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં હજુ સુધી કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. સુરક્ષા દળોએ બડીબાગ-પહુ રોડ પર આ IED રીકવર કર્યું છે.આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો એલર્ટ પર છે. આ પહેલા જમ્મુ અને કાશ્મીરના ડીજીપી આરઆર સ્વૈને કાશ્મીરમાં ગણતંત્ર દિવસની ઉજવણીને લઈને ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ડીજીપીએ કાશ્મીરમાં તમામ કાર્યક્રમ સ્થળો પર સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
ડીજીપી આરઆર સ્વૈને કહ્યું હતું કે પાકિસ્તાન અને તેની એજન્સીઓ જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનો સતત પ્રયાસ કરી રહી છે. તેના કારણે જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસો થઈ રહ્યા છે. આ બેઠકમાં પોલીસ, આર્મી, CRPF, BSF, SSB, CISF અને અન્ય સહયોગી એજન્સીઓના અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન, સંવેદનશીલ વિસ્તારો, વ્યક્તિઓ અને સ્થળોની સુરક્ષા પર વિશેષ દેખરેખની ચર્ચા કરવામાં આવી હતી.