હૈદરાબાદ,
હૈદરાબાદ આઈઆઈટીમાં અભ્યાસ કરનારા 21 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલના સાતમા માળેથી મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું છે. પોલીસના પ્રાથમિક રીપોર્ટમાં જણાવ્યા અનુસાર સિકંદરાબાદનો રહેવાસી એમ અનિરુધ્ય નામનો વિદ્યાર્થી મોબાઈલ ફોન પર વાત કરતાં સમયે એકાએક નીચે ગબડી પડ્યો અને તેનું શનિવારે મોત થયું હતું.
જોતે વિસ્તૃત તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે છેલ્લાં ઘણાં સમયથી અનુરુધ્ય તણાવમાં હતો અને હતાશા અનુભવી રહ્યો હતો. મોતની છલાંગ લગાવતા અગાઉ પણ તેણે કેટલાક મિત્રોને મેસેજ કર્યો હતો કે જીવન હવે રસપ્રદ રહ્યું નથી. હતાશાને કારણે તેણે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. તેના ઈ-મેઇલના આધારે પોલીસે દાવો કર્યો છે કે તે છેલ્લાં એક અઠવાડિયાથી ચિંતાગ્રસ્ત હતો.
પોતાના ઈ-મેઇલમાં અનુરુધ્યએ જણાવેલું કે જીવનનો અંત આણવાનો મારો નિર્ણય એકદમ તાર્કિક છે, મારું ભવિષ્ય કેવું છે તેના અંદાજના આધારે છે. જીવનમાં હવે કોઇ રસ રહ્યો નથી દરરોજ સમય સાથે પિસાતા રહેવું વધારે મુશ્કેલ બની રહ્યું છે.
પોલીસ અનુસાર તેણે આપઘાત કરતાં અગાઉ મનોચિકિત્સકની પણ સલાહ લીધી હતી. મૃતક મિકેનિકલ અને એરોસ્પેસ એન્જિનિયરિંગનો ચોથા વર્ષનો વિદ્યાર્થી હતો.
દરમ્યાન, આઈઆઈટી દ્વારા એક નિવેદન જાહેર કરીને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી દુઃખની ઘડીમાં તેમની સાથે હોવાનું જણાવ્યું હતું.