ઈસ્લામાબાદમાં જાહેર કાર્યક્રમો યોજવા પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પાર્ટી ‘PTI’ના ટોચના નેતાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ખાને 20 ઓગસ્ટે અહીં એક વિરોધ સભાને સંબોધિત કરી હતી. કલમ 144ના ઉલ્લંઘન માટે પાર્ટીના નેતૃત્વને જવાબદાર ઠેરવતા પોલીસે સોમવારે ઈસ્લામાબાદના આબપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. એફઆઈઆરમાં 69 વર્ષીય ખાન સિવાય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ઘણા નેતાઓના નામ છે.
અગાઉ, ઈસ્લામાબાદ હાઈકોર્ટે અહીં એક રેલી દરમિયાન મહિલા ન્યાયાધીશ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ભૂતપૂર્વ વડા પ્રધાન ખાન વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પહેલા સોમવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને આતંકવાદ સંબંધિત કેસમાં ગુરુવાર સુધી જામીન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શનિવારે ઈસ્લામાબાદમાં એક રેલીમાં પોલીસ, ન્યાયતંત્ર અને અન્ય સરકારી સંસ્થાઓને ધમકી આપવા બદલ 69 વર્ષીય ખાન વિરુદ્ધ આતંકવાદનો કેસ નોંધવામાં આવ્યો હતો. ઈમરાન ખાન વિરુદ્ધ રવિવારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ખાને આજે કોર્ટમાં આગોતરા જામીન માટે વિનંતી કરી હતી.