@સચિન પીઠવા, સુરેન્દ્રનગર.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં 41 વર્ષ જૂની 20 હજાર લોકોને પાણી પૂરું પાડતી ટાંકી જર્જરિત
>60 ફૂટ ઊંચી, 5 લાખ લીટર પાણી સંગ્રહ ધરાવતી ટાંકી પડી તો મોટી ખુવારીનો ડર
> પાણી પુરવઠા બોર્ડે ખખડધજ ટાંકી ઉતારી લેવા ગ્રામ પંચાયત આદેશ કર્યો
> ટાંકી ઉતારવી એક પડકાર ટાંકી ઉતારતી વખતે આજુબાજુના પાણીના સંપને નુકશાન થવાનો ભય
> ટાંકી ઉતાર્યાં બાદ ગામમાં પાણી વિતરણ કેવી રીતે કરવું તે પણ મોટો પ્રશ્ન
ચુડા શહેરમાં 41 વર્ષ જૂની 20 હજાર લોકોને પાણી પૂરું પાડતી ટાંકી જર્જરિત હાલતમાં છે. સળીયા દેખાય રહેલી ટાંકી ગમે ત્યારે ધરાશાઈ થઈને અકસ્માત સર્જી શકે છે. ટાંકીમાં ઠેક-ઠેકાણે સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે. ટાંકી બનાવવામાં વપરાયેલા અને હાલ કાટ ખાઈ ગયેલા લોખંડના સળીયા નરી આંખે જોઈ શકાય છે. ટાંકી એટલી નાજુક હાલતમાં છે કે ગમે ત્યારે પડી મોટી દુર્ઘટના સર્જી શકે છે.
60 ફૂટ ઊંચી અને 5 લાખ લીટર પાણી સંગ્રહ ધરાવતી ટાંકી પડી તો મોટી ખુવારી થવાનો ભય સતાવી રહ્યો છે. પાણી પુરવઠા બોર્ડે ખખડધજ ટાંકીમાં પાણી નહીં ભરવાનો અને યોગ્ય સમયે ટાંકી ઉતારી લેવા ગ્રામ પંચાયત આદેશ કર્યો છે. સાથે જ ભય સૂચક બોર્ડ લગાવવા ગ્રામ પંચાયતને નિર્દેશ કર્યો હતો.
ગ્રામ પંચાયત દ્વારા ભય સૂચક બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. આ અંગે ચુડા ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચ મુકેશભાઈ લકુમે જણાવ્યું હતું કે ટાંકી ઉતારવી એક પડકાર સમાન છે. ટાંકી ઉતારતી વખતે આજુબાજુમાં રહેલા પાણીના 4 સંપને નુકશાન થવાનો ડર સતાવી રહ્યો છે. પાણી પુરવઠા બોર્ડે અમને સંપ સુધી જ પાણી પહોંચાડવાની જવાબદારી છે તેમ લેખિતમાં જાણ કરી છે. ટાંકી ઉતાર્યાં બાદ ગામમાં પાણી વિતરણ કેવી રીતે કરવું તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે. ટાંકી ક્યારે ઉતારાશે? તે તો આવનાર સમય બતાવશે પણ જર્જરિત અને ભગવાન ભરોસે ઊભેલી ટાંકી પાસે પસાર થવું એ પણ જીવનું જોખમ છે. ગમે તે સમયે ટાંકી નીચે ખાબકી કે કોઈ દુર્ઘટના સર્જાઈ તો તેની જવાબદારી ભોગ બનનારની આવશે તેવું લાગે છે. કારણ કે તંત્રે તો ભય સૂચક બોર્ડ લગાવી દીધું છે.