રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી .જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થયા હતા તેમજ અનેક લોકો ના મૃત્યુ પણ થયા છે. સરકાર દ્વારા આ કેસોને નિયંત્રણમાં લાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે .જેમના પગલે અનેક રાજયોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું .પરંતુ કેસો ઘટતા હવે ધીમે ધીમે રાજ્યોને અનલોક કરવામાં આવી રહ્યા છે . આજ થી કેરળમાં પણ આ લોકડાઉન હટાવાયું છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, કેરળના થિરુવનંતપુરમમાં કોવિડ-19 લોકડાઉન બાદ આજથી કેરળ સ્ટેટ બેવરેજીસ કોર્પોરેશનના આઉટલેટ ફરીથી ખૂલ્યા છે. જેની બહાર લોકોએ દારૂ ખરીદવા વરસાદમાં પણ લાઇનો લગાવી હતી. ભીડને નિયંત્રણમાં રાખવા લીકર શોપની બહાર પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી.
કેરળમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,10,226 છે. જ્યારે 26,39,593 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 11,655 લોકોના કોરોનાથી મોત થયા છે.