આજે ભારતની આઝાદીને 72 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દેશભરમાં આ દિવસને લઇને ઉજવણીઓ થઇ રહી છે. વળી આજે રક્ષાબંધન હોવાના કારણે લોકોમાં બમણી ખુશી સ્પષ્ટપણે જોઇ શકાય છે. આઝાદીનાં 72 વર્ષ પૂર્ણ થયા બાદ સતત છઠ્ઠી વખત પીએમ મોદીએ લાલ કિલ્લાથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં ઘણી ખરા મુદ્દાઓ પર ભાર આપતા દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમનુ સંબોધન પૂર્ણ થયા બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છોટા ઉદેપુરથી રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો. ત્યાર બાદ તેમણે લોકોને સંબોધન કરતા કહ્યુ કે, ગુજરાતવાસીઓને તેમના સામર્થ્યથી શાનદાર-જાનદાર ગુજરાતનું નિર્માણ કરવુ જોઇએ. તેમણે ગુજરાતીઓને લીડ લેવા આવાહન કર્યુ હતુ.
ગુજરાતમાં બની રહેલો શાંતિનો માહોલ જવાબદાર છે શિક્ષાનાં કારણે. અહી શિક્ષાનું સ્તર દિવસે ને દિવસે ઉપર આવી રહ્યુ છે. નવા ભારતનું નિર્માણ કરવા માટે દેશ માટે જીવવાની ભાવનાને આત્મસાત કરવાનો કોલ તેમણે આપ્યો હતો. ક્ષણ-ક્ષણ રાષ્ટ્રનાં ઉત્થાનને સમર્પિત કરવા લોકોને જણાવ્યું હતું. ૭૩માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવતા વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે ગુજરાતની ધરતીનાં બે મહાન સપૂતો મહાત્મા ગાંધી અને સરદાર પટેલે દેશને આઝાદી અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલે રજવાડાંઓને એક કરીને ભારતને એક રાષ્ટ્ર બનાવવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. પરંતુ ત્યારબાદ કલમ ૩૭૦ અને ૩૫-A નાં કારણે ભારતથી અલગ પડી ગયેલા કાશ્મીરને ભારત સાથે એકાકાર કરવાની દિશામાં મહત્વનુ પગલું લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ એક રાષ્ટ્ર મે દો વિધાન, દો નિશાન અને દો પ્રધાન નહિ ચલેગાના નારા સાથે શહાદત વહોરી લેનારા શ્યામા પ્રસાદ મુખરજીનાં વિધાનને સાકાર કરી દેખાડયું છે. તેમના બલિદાનને એળે જવા દીધું નથી. જો કે કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ હાલમાં સ્થિતિ કાબૂમાં હોય તેવુ સામે આવી રહ્યુ છે.
સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, સાત દાયકામાં 41 હજારથી વધુ લોકોના જીવ ભરખી જનાર કાશ્મીરમાંથી કલમ 370 અને 35-A દૂર કરીને ખરા અર્થમાં આઝાદીનો અહેસાસ કરાવ્યો છે. આ માત્ર કાશ્મીરનું જ નહિ, ખરા અર્થમાં સમગ્ર રાષ્ટ્રનું આઝાદી પર્વ બની રહ્યું છે. માત્ર સરકાર ચલાવવા કે સત્તામાં ટકી રહેવા માટે શાસન કરવાનો યુગ સમાપ્ત થયો છે. હવે ખરાઅર્થમાં વિકાસની દિશામાં આપણે અગ્રેસર થઈ રહ્યા છીએ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ૭૩માં આઝાદી પર્વ નિમિત્તે ગુજરાતની પ્રજાને શુભકામના પાઠવી છે. આ પ્રસંગે દેશના મહાન વીર નાયકોને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું હતું કે સ્વતંત્રતાનું રાષ્ટ્રીય પર્વ આપણને મહાન સ્વાતંત્ર્ય વીરોના અસીમ રાષ્ટ્રપ્રેમ, અપ્રતીમ શૌર્ય અને બલિદાનોની ગાથાનું સ્મરણ કરાવે છે. તેની સાથે જ મહામૂલી આઝાદીના જતન વચ્ચે વધુ પ્રતિબદ્ધ બનવાની પ્રેરણાં આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.