નવી દિલ્હી,
ભારત માટે એક સારા સમાચાર છે. હકીકતમાં લોકસભા ચૂંટણી બાદ 200 જેટલી અમેરિકી કંપનીઓ તેનું મેન્યુફેક્ચરિંગ બેઝ ચીનથી ભારતમાં શિફ્ટ કરવા માંગે છે. અમેરિકાના મુખ્ય એડવોકેસી ગ્રૂપ યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક એંડ પાર્ટનરશિપ ફોરમે આ જાણકારી આપી હતી. ફોરમના અધ્યક્ષ મુકેશ અધી સાથે હાલમાં ભારતમાં રોકાણ માટે આ કંપનીઓ વાત કરી રહી છે.
આ અંગે વધુ જાણકારી આપતા અધીએ કહ્યું હતું કે ભારતમાં જે નવી સરકાર આવશે તેના દ્વારા સુધારાત્મક પગલાંઓ જલ્દી લેવાય તે આવશ્યક બની રહેશે. સરકારે ગત 12 થી 18 મહિનામાં ઇ-કોમર્સ અને ડેટા લોકલાઇઝેશન જેવા મામલે જે પણ નિર્ણય કર્યા છે તેને અમેરિકી કંપનીઓ સ્થાનિક માર્કેટ માટેના નિર્ણયોની નજરે જુએ છે.
મોટા ભાગમાં અમેરિકી કંપનીઓ ભારતમાં રોકાણ કરે તે માટે સરકારે તે પ્રકારની વ્યૂહરચના ઘડવી પડશે જેમાં જમીનથી લઇને કસ્ટમ સુધીના મુદ્દાઓમાં સરળીકરણ અને પારદર્શિતા રહે તે અનિવાર્ય બની રહેશે. તેનાથી મોટા પ્રમાણમાં રોજગારી સર્જન પણ થશે.
ભારત અને અમેરિકા વચ્ચે મુક્ત વ્યાપાર કરાર થાય તે જરૂરી છે. તેનાથી ભારતમાં વધુ રોકાણ માટેનો માર્ગ પણ મોકળો બનશે અને ભારતના અર્થતંત્રને પણ વેગ મળશે. એફટીએના માધ્યમથી ભારતમાં ચીનથી આવતા સસ્તા માલની રકઝક પણ પૂર્ણ થઇ જશે. લોકસભા ચૂંટણી બાદ મોટા ભાગની કંપનીઓ ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટોની સ્થાપના કરશે જેનાથી જંગી પ્રમાણમાં રોકાણ પણ આવશે.