દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આવેલા નાલાસોપારા વિસ્તારમાં સનાતન સંસ્થાના સભ્ય વૈભવ રાઉતના ઘરે એટીએસ (ATS)ની ટીમે દરોડો પાડયો હતો અને ચેકિંગ દરમિયાન તેના ઘરમાંથી આઠ જેટલા દેશી બોમ્બ સહિતની વિસ્ફોટક સામગ્રી મળી આવતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. એટીએસની ટીમે રાઉતના ઘર અને દુકાન પર દરોડા પાડ્યા હતા. આ ઘટના અંગે એટીએસની ટીમે તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એટીએસને મળેલી ચોકકસ બાતમીના આધારે ગુરુવારે રાત્રીના સનાતન સંસ્થાના સભ્ય વૈભવ રાઉતના ઘર અને દુકાન પર પોલીસ ત્રાટકી હતી અને તેના ઘરની તલાશી લેવામાં આવી હતી.
આ તલાશી દરમિયાન તેના ઘરની અંદરથી આઠ જેટલા દેશી બોમ્બ મળી આવ્યા હતા અને તેની દુકાનમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી હતી. તેની દુકાનમાંથી એટીએસની ટીમે મોટી માત્રામાં ગન પાઉડર એટલે કે સલ્ફરનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક ડેટોનેટર પણ મળ્યા હતા. જે ગન પાઉડરમાંથી આશરે બે ડઝન બોમ્બ બનાવી શકાય છે.
સનાતન ધર્મ સંસ્થાની સાથે જોડાયેલી વ્યક્તિના ઘર પર બોમ્બ અને તેને બનાવવાની સામગ્રી મળવી એ ઘણી ચોંકાવનારી બાબત છે. એટીએસની ટીમ છેલ્લા કેટલાક દિવસોથી સતત વૈભવ રાઉતની ઉપર વોચ રાખી રહ્યા હતા.
આ પછી ગુરુવારે મોડી સાંજે દરોડો પાડ્યો હતો ત્યારે વૈભવ ઘરમાં હાજર હતો. એટીએસે વૈભવ રાઉતની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને હાલ તેની સઘન પૂછપરછ ચાલુ છે.
આ બોમ્બનો ઉપયોગ કયા કરવાનો હતો અને કોના કહેવાથી બોમ્બ બનાવવામાં આવ્યા છે અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે ? તે તમામ મહત્વના મુદ્દાઓની પોલીસે તપાસ શરુ કરી છે.
વૈભવ રાઉતના વકીલ સંજીવ પુનાલેકરનું કહેવું છે કે, એટીએસે કોઈ જાણકારી આપ્યા વિના ધરપકડ કરી છે. ખબર નથી મહારાષ્ટ્ર એન દેશમાં કેવા પ્રકારના કાયદાનું પાલન કરવામાં આવી રહ્યું છે. અમે આ મામલે કાનૂની કાર્યવાહી કરીશું.