અમદાવાદ: આજથી એટલે કે, આઠ સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી સતત છ દિવસ અરબી સમુદ્રમાં વિશાળ મોજાઓ ઊછળશે. આ મોજાં 4.53થી 4.85 મીટર ઉંચાઈના હશે, તેથી આ સમયગાળામાં પર્યટકોએ ચૌપાટી અને સમુદ્રકિનારા પર જતી વખતે સાવચેતી જરૂરી રાખવા માટેની અપીલ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
મુંબઈ સહીત દેશમાં જુલાઇ મહિનામાં વરસાદે ભારે જોર પકડ્યું હતું. જેના કારણે મુંબઈના અરબી સમુદ્રમાં લગભગ પાંચ મીટર જેટલા ઊંચા મોજાં ઉછળ્યા હતાં, તેના પરિણામે સમુદ્રનું પાણી મરીન ડ્રાઇવ, ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે રસ્તા પર ફેલાઈ ગયું હતું. જયારે બીજી તરફ બાંદ્રા, ખાર વગેરે કોળીવાડા વિસ્તારમાં પાણી ભરાવાને કારણે અનેક ઘરને નુકસાન થયું હતું.
મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, આજથી એટલે શનિવારથી આવતા ગુરુવાર, 13મી સપ્ટેમ્બર સુધી સળંગ છ દિવસ સમુદ્ર તોફાની બનશે. જોકે, અત્યારે મુંબઈ શહેરમાં વરસાદનું જોર નહી હોવાના કારણે વરસાદને લીધે સમુદ્રના મોજામાં વધારો થવાની સંભાવના દેખાતી નથી. પરંતુ અરબી સમુદ્રમાં ભરતીના સમયે સમુદ્રકિનારે અને ગિરગાવ, દાદર, જૂહુ, ગોરાઇ, માર્વે વગેરે ચૌપાટી પર લોકોનું હરવા-ફરવાનું જોખમકારક થઇ શકે છે, એવો ઇશારો મુંબઈ મહાનગરપાલિકાએ આપ્યો હતો.
મુંબઈના નાગરિકોને ભારે વરસાદથી દર નથી લાગતો. પરંતુ મુંબઈગરાઓને ભારે વરસાદની સાથે જો અરબી સમુદ્રમાં એટલે કે દરિયામાં હાઈ ટાઇડ (ભારે ભરતી) આવે તેનાથી ડર લાગે છે. કારણ કે, ભારે વરસાદની સાથે જો દરિયામાં હાઈ ટાઇડ હોય તો વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થતો નથી અને મુંબઈના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની તેમજ પાણી બેક મારવાની સમસ્યા ઉદભવે છે. જેના કારણે મુંબઈવાસીઓ ભયભીત રહે છે.